માળીયા તાલુકાના માણાબા ગામે કરંટ લાગતા ૫૪ વર્ષીય વ્યક્તિનું મોત થયું જ્યારે રંગપરની સ્પ્રેરીટા સિરામીક ફેક્ટરીમાં ૨૩ વર્ષીય યુવાને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી મોતને વ્હાલું કર્યુ હતું. બંને બનાવોને પગલે પોલીસ દ્વારા અ.મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.
મોરબી જીલ્લામાં અલગ-અલગ બનાવોમાં બે વ્યક્તિઓના મૃત્યુ નિપજ્યા હતા. જેમાં પ્રથમ અપમૃત્યુના બનાવમાં માળીયા(મી) તાલુકાના માણાબા ગામે રહેતા રામદેવસિંહ સજુભા જાડેજા ઉવ.૫૪ ગઈકાલ તા.૨૨ ઓગસ્ટના રોજ સવારના સમયે પોતાના મકાનમાં ધાબા ઉપર પાણી ભરવાની ટાંકીની ઈલેક્ટ્રીક મોટર ચાલુ કરવા જતા અચાનક કરંટ લાગતા ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને તાત્કાલિક સારવાર માટે જેતપર સીએચસી સેન્ટર લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કરતા અ.મોતનો કેસ નોંધાયો હતો.
અપમૃત્યુના બીજા બનાવમાં મોરબી તાલુકાના રંગપર ગામે સ્પ્રેરીટા સીરામીકમાં રહેતા જવાનસિંગ બહાદુરસિંગ મુરલી ઉવ.૨૩ ગત તા. ૨૧ ઓગસ્ટની રાત્રે કોઈ અગમ્ય કારણોસર પોતાની ફેક્ટરી સ્પ્રેરીટા સિરામીકમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. ત્યારે મૃતદેહને મોરબી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટનાને પગલે પોલીસ દ્વારા અ.મોતની નોંધ કરી, ઇન્કવેસ્ટ પંચનામા સહિતની કાર્યવાહી શરૂ કરી હતી, હાલ તાલુકા પોલીસે અ. મોત રજીસ્ટર કરી આગળની તજવીજ હાથ ધરી છે.