મોરબી જિલ્લા પોલીસ દ્વારા ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત ગુનામાંથી રિકવર કરાયેલ કુલ રૂ.27,42,392 જેટલો મુદામાલ મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યો હતો. જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલ તથા નાયબ પોલીસ અધિક્ષક સમીર સારડા (વાંકાનેર વિભાગ)ના હસ્તે ફરીયાદીઓને આ મુદામાલ સુપ્રત કરવામાં આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર, રાજકોટ રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાય તથા મોરબી જિલ્લા એસ.પી. મુકેશ પટેલના માર્ગદર્શન હેઠળ પ્રજાકલ્યાણ તથા પ્રજા ઉપયોગી કામગીરી માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. તે અનુસંધાને ડી.વાય.એસ.પી. સમીર સારડાના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં ગત તા.14 ફેબ્રુઆરી 2026ના રોજ એક ફરીયાદી બહારગામ ગયા હતા. ત્યારે અજાણ્યા આરોપીએ તેમના બંધ રહેણાંક મકાનનું તાળું તોડી અંદર પ્રવેશ કરી તિજોરી અને કબાટમાં રાખેલા સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમની ચોરી કરી નાસી ગયો હતો. આ બનાવ અંગે ફરીયાદીએ ટંકારા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા આરોપી સામે ગુનો નોંધાવ્યો હતો. આ ગુનાની તપાસ દરમિયાન એલ.સી.બી. મોરબીના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.પી. પંડ્યાની ટીમે આરોપીને ઝડપી પાડી તેની પાસેથી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળી કુલ રૂ.26,04,105નો મુદામાલ કબજે કર્યો હતો. બાદમાં ટંકારા કોર્ટના હુકમ અનુસાર આ મુદામાલ ફરીયાદીને પરત સોંપવામાં આવ્યો હતો. આ ઉપરાંત ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ-અલગ અરજદારોના ગુમ થયેલા કુલ 7 મોબાઇલ ફોન કિંમત રૂ.1,38,287ના પણ શોધી કાઢી અરજદારોને પરત આપવામાં આવ્યા હતા. આ રીતે ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત કુલ રૂ. 27,42,392નો મુદામાલ મોરબી જિલ્લા પોલીસ દ્વારા મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યો હતો.









