સરકાર દ્વારા અનેક યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે. જેનો લાભ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આપવામાં આવતો હોય છે. પરંતુ અનેક લોકો લાભ મેળવી અનાજ સહિતની વસ્તુઓનું બારોબાર વેચાણ કરી દેતા હોય છે. ત્યારે હાલ મોરબી ગ્રામ્ય મામલતદાર દ્વારા મોરબીના ખાનપર ગામેથી એક ઇસમને સરકારી અનાજના જથ્થા સાથે પકડી પાડવામાં આવ્યો છે. ઈમ્તિયાઝ ગોધાવિયાના ઘરેથી ૩૦૭૧.૩૫૦ કિલો ઘઉં, ૨૭૦.૪૮૦ કિલોગ્રામ ચોખાનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. જે ઈસમ ઘઉં અને ચોખા ઉઘરાવી કાળાબજારી કરતો હોવાનું સામે આવ્યું છે.
મોરબી ગ્રામ્ય મામલતદાર એમ. ટી . ધનવાણી ની ટીમે ખાનપર ગામે દરોડો પાડી સરકારી અનાજના જથ્થા સાથે એક ઇસમ ઝડપી પાડવામાં આવ્યો છે.જેમાં ૩૦૭૧ કિલો ઘઉંના ૬૧ કટ્ટા તેમજ ૨૭૦ કિલો ચોખાની સાડા ચાર કટ્ટા કિંમત રૂ. ૧,૮૬,૬૧૭ ના મુદ્દામાલ સાથે ઈમ્તિયાઝ ગુલમામદ ગોધાવીયા ને ઝડપી લેવામાં આવ્યો છે.
ઘઉં, ચોખા, રિક્ષા કિંમત રૂ. ૨,૦૦,૦૦૦ તેમજ બાઇકની કિંમત રૂ. ૫૦,૦૦૦ ગણી કુલ રૂપિયા ૪.૩૬ લાખનો મુદામાલ કબજે કરવામાં આવ્યો છે. ત્યારે ઝડપાયેલ ઇસમ ઘરે ઘરેથી ઘઉં ચોખા ઉઘરાવી કાળાબજારી કરતો હોવાનું સામે આવ્યું છે