મોરબી મહાનગરપાલિકા દ્વારા મહાશિવરાત્રી નિમિતે મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા તમામ પ્રકારના કતલખાનાઓ બંધ રાખવા તેમજ માંસ મટન, ચીકન તથા મચ્છીના વેચાણ કરવા પર પ્રતિબંધ ફરમાવવા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. જે જાહેરનામાનો સરેઆમ ભંગ થતા વિશ્વ હિંદુ પરિષદ-બજરંગ દળ દ્વારા સઘન કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.
મોરબીમાં મહાશિવરાત્રી નિમિતે કતલખાનાં અને માંસ વેચાણ પર મુકાયેલા પ્રતિબંધના જાહેરનામાના ભંગ બાબતે મુદ્દો ઉગ્ર બન્યો છે. અગાઉ મોરબી મહાનગરપાલિકાના કમિશનર દ્વારા 15 ફેબ્રુઆરી 2026ના રોજ તમામ પ્રકારના કતલખાનાં બંધ રાખવા તેમજ માંસ-મટન, ચીકન અને મચ્છીના વેચાણ પર પ્રતિબંધ મૂકતો આદેશ બહાર પાડવામાં આવ્યો હતો. આદેશ હોવા છતાં શહેરના કેટલાક વિસ્તારોમાં દુકાનો, કતલખાનાં અને લારીઓ ચાલુ હોવાના આક્ષેપો સામે આવ્યા છે. જેના કારણે ધાર્મિક લાગણી દુભાવાઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે જાહેરનામાનો ભંગ કરનારાઓ સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવા વિશ્વ હિંદુ પરિષદ-બજરંગ દળ દ્વારા માંગ કરાઈ છે. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આ મુદ્દાને ગંભીરતાથી લઈ સંબંધિત તંત્રને કાયદેસરની કાર્યવાહી કરી ગુના દાખલ કરવાની માંગ કરવામાં આવી છે. તંત્ર દ્વારા મામલે તપાસ હાથ ધરવામાં આવે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.









