વાંકાનેર: વઘાસીયા ટોલનાકા નજીક માર્ગ અકસ્માતની ઘટનામાં એક જ પરિવારના બે વ્યક્તિના મૃત્યુ નિપજતા, સમગ્ર પરિવાર ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયો છે, જેમાં બે અલગ અલગ મોટર સાયકલમાં માટેલથી દર્શન કરી રાજકોટ પરત જતા હોય ત્યારે પુરપાટ અને ગફલતભરી રીતે આવતા ટ્રકે ઍક્સેસ મોપેડને ઠોકરે ચડાવતા, મોપેડ ચાલક પૌત્ર અને તેમના નાની એમ બંનેને ગંભીર ઇજાઓ પહોચતા સ્થળ ઉપર જ બંનેનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત સર્જી ટ્રક ચાલક નાસી ગયો હતો. ત્યારે હાલ માતા અને ભાણેજના અકસ્માતમાં મૃત્યુના બનાવ અંગે રાજકોટના યુવકે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, સાપર-વેરાવળ હાઉસિંગ બોર્ડ કોલોની રાજકોટ રહેતા પૂર્વેશભાઈ રમેશભાઈ પરમાર ઉવ.૩૮ એ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ટ્રક રજી.નં. આરજે-૧૪-જીએલ-૮૯૮૧ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યા અનુસાર, ગઈકાલ તા.૧૦/૦૫ના રોજ પૂર્વેશભાઈ અને તેમના પત્ની, દીકરો અને તેમના માતા ગુલાબબેન અને ભાણેજ રિક્કીભાઈ એમ બધા બે અલગ અલગ મોટર સાયકલ ઉપર વાંકાનેરના માટેલ ગામે દર્શન કરવા રાજકોટથી નીકળ્યા હતા, માટેલ દર્શન કરી પરત રાજકોટ જતા હોય ત્યારે રિક્કીભાઈ અને તેમના નાનીમા ગુલાબબેન ઍક્સેસ મોપેડ રજી.નં. જીજે-૨૫-એએફ-૪૫૧૩ હતા, જે મોપેડ રિક્કીભાઈ ચલાવતા હોય ત્યારે વાંકાનેર વઘાસીયા ટોલનાકા નજીક વૃદાવન હોટલથી નેશનલ હાઇવે ઉપર ચડતા, મોરબી બાજુથી ઉપરોક્ત ટ્રકના ચાલકે પોતાનો ટ્રક પુરપાટ ઝડપે ચલાવી આવી મોપેડને હડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો, અકસ્માતની ઘટનામાં બંને નાની-પૌત્ર રોડ ઉપર પટકાયા હતા, અકસ્માત સર્જી ટ્રક ચાલક નાસી ગયો હતો. જે બાદ ગુલાબબેન રમેશભાઈ પરમાર ઉવ.૭૦ને માથામાં અને રિક્કીભાઈ દીપકભાઈ કવા ઉવ.૧૭ને મોઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોચતા, બંનેને બેભાન હાલતમાં ૧૦૮ મારફત વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખસેડતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે બંને નાની-પૌત્રને મૃત જાહેર કર્યા હતા, ત્યારે હાલ પૂર્વેશભાઈની ફરિયાદને આધારે વાંકાનેર સીટી પોલીસે આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.