મુદલ-વ્યાજ ચુકવી દીધા છતાં ધમકીઓ, આઈફોન અને કાર પડાવી લઈને ચેક રિટર્નનો કેસ કર્યો.
મોરબી-૨ વિસ્તારમાં બે વ્યાજખોરો સામે ઊંચા વ્યાજે રૂપિયા આપીને પઠાણી ઉઘરાણી, ધમકીઓ અને બળજબરીપૂર્વક કાર તથા મોબાઇલ ગીરવે લેવા અંગેની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદીએ વ્યાજ-મુદ્દલ ચુકવી દીધા હોવા છતાં વધુ રૂપિયા માટે પઠાણી ઉઘરાણી અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી.
મોરબીના ઉમા ટાઉનશીપમાં ૩૦૪ મંગલ જ્યોતિ હોમ્સ-૧ ખાતે રહેતા વેપારી અનિલભાઈ ચંદુભાઈ જાકાસણીયાએ આરોપી ચીરાગ સંધાણી રહે. ગોલ્ડન માર્કેટ રવાપર રોડ અને આરોપી સુરેશભાઈ કાથાલાલ રાયકા રહે. મોરબી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, ધંધામાં જરૂરિયાતને માટે તેમણે આરોપીઓ પાસેથી માસિક ૧૦ ટકા વ્યાજે રૂપિયા લીધા હતા. જેમાં આરોપી સુરેશભાઈ પાસેથી લીધેલા રૂ. ૧ લાખ સામે કુલ રૂ. ૨.૫૦ લાખ ચુકવી દીધા હોવા છતાં તેમના વિરુદ્ધ ચેક રિટર્નનો કેસ કર્યો હતો, જ્યારે આરોપી ચીરાગ સંધાણી પાસેથી લીધેલા રૂ. ૪ લાખ સામે રૂ. ૫.૪૦ લાખ ચુકવ્યા છતાં વધુ રકમની ઉઘરાણી કરી ધમકીઓ આપવામાં આપી ગત તા. ૦૫ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ આરોપી ચીરાગે ફરીયાદીને બોલાવી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી અને બળજબરીપૂર્વક આઈફોન તથા હોન્ડા જાઝ કાર ગીરવે રખાવી દીધી હતી. હાલ આ સમગ્ર મામલે પોલીસે બન્ને આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા તેમજ નાણા ધીરધાર અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









