મોરબી જીલ્લામાં એક જ દિવસે અલગ-અલગ પોલીસ મથકોમાં પાંચ અપમૃત્યુના બનાવો નોંધાતા જીલ્લામાં ચકચાર મચી જવા પામ્યો છે. જેમાં મોરબી શહેર, ગ્રામ્ય, વાંકાનેર તથા ટંકારામાં જુદા જુદા બનાવમાં પાંચ વ્યક્તિઓના મોત નિપજ્યા છે. ત્યારે અજાણ્યા પુરૂષનું અગમ્ય કારણોસર મૃત્યુ, બે આપઘાત, એક ઝેરી દવા પીવાથી મૃત્યુ અને એક હાર્ટએટેકથી મોતના બનાવો સામે આવ્યા છે. પોલીસે તમામ અપમૃત્યુના બનાવ અંગે અ.મોતની નોંધ કરી તપાસ શરૂ કરી છે.
મોરબી જીલ્લામાં ગઈકાલ તા.૧૨/૦૧/૨૦૨૬ના રોજ અપમૃત્યુના પાંચ અલગ-અલગ બનાવો સામે આવ્યા છે. પ્રથમ અપમૃત્યુનો બનાવ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયો જેમાં કંડલા બાયપાસ નવલખી ફાટક પાસે સિલ્વર સોસાયટીના પાછળના ખુલ્લા મેદાનમાંથી આશરે ૫૦થી ૫૫ વર્ષની વયના એક અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવ્યો હતો. કોઈ અગમ્ય કારણોસર થયેલ આ મૃત્યુ અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
જ્યારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બીજા બનાવમાં ગાળા ગામના કાંઠે ૨૩ વર્ષીય માધવીબેન જિતેન્દ્રભાઈ ટીંડોડીયા નામની યુવતીએ પોતાના રહેણાંક મકાને ગળેફાંસો ખાઈ આપઘાત કર્યાનો બનાવ સામે આવ્યો છે. યુવતીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં તેણીને હાજર તબીબે મૃત જાહેર કરવામાં આવી હતી.
વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ત્રીજા અપમૃત્યુમાં મધ્યપ્રદેશના ધાર જીલ્લાના રામપુર થાણા વિસ્તારની ૧૬ વર્ષીય જયાબેન રાકેશભાઈ ડાવરે રાતીદેવરી ગામની સીમમાં આવેલી વાડીમાં ઝેરી દવા પીધા બાદ સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આ અંગે મધ્યપ્રદેશ પોલીસે મોકલેલા કાગળોના આધારે વાંકાનેર સીટી પોલીસ દ્વારા અપમૃત્યુ અંગેની અ.મોતની નોંધ કરવામાં આવી છે.
આ ઉપરાંત ટંકારા પોલીસ સ્ટેશનમાં બે અપમૃત્યુના બનાવો નોંધાયા છે. જેમાં પ્રથમ બનાવમાં લગધીરગઢ ગામની સીમમાં બાલાજી પેક પ્લાસ્ટ કંપનીના લેબર ક્વાર્ટરમાં રહેતા ૫૮ વર્ષીય રંગલાલ રામપતી શર્માને સુતા સમયે હાર્ટએટેક આવતાં મોત નિપજ્યું હતું. જ્યારે બીજા બનાવમાં ટંકારા તાલુકાના કલ્યાણપર ગામે ૬૩ વર્ષીય થોભણભાઈ મોહનભાઈ કગથરાએ લાંબા સમયથી માનસિક અસ્વસ્થતાના કારણે પોતાના રહેણાંક મકાનમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. ત્યારે ટંકારા પોલીસે બન્ને અપમૃત્યુ અંગે અ.મોત રજીસ્ટર કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.









