મચ્છરજન્ય રોગચાળાને નાથવા ડૉ. દેવેન રબારીના માર્ગદર્શન હેઠળ રબારીવાસ, વણકરવાસ અને વાલ્મિકીવાસમાં જનજાગૃતિ સાથે દવાનો છંટકાવ કરાયો
મોરબી:
સામાજિક ઉત્તરદાયિત્વ અને માનવતાના કાર્યોમાં હંમેશા અગ્રેસર રહેતું મોરબીનું અગ્રણી સંગઠન ‘યંગ ઇન્ડિયા ગ્રુપ’ ફરી એકવાર છેવાડાના માનવીની વહારે આવ્યું છે. હાલમાં બદલાતા વાતાવરણ અને મચ્છરજન્ય રોગોના વધતા જતા પ્રકોપને ધ્યાને રાખીને, સંસ્થા દ્વારા શહેરના પછાત વિસ્તારોમાં વ્યાપક સ્તરે ‘આરોગ્ય રક્ષણ અભિયાન’ છેડવામાં આવ્યું છે.
મોરબીના રબારીવાસ, વણકરવાસ અને વાલ્મિકીવાસ જેવા શ્રમિક વિસ્તારોમાં બીમારીનું પ્રમાણ ન વધે તે હેતુથી યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આધુનિક ફોગિંગ મશીનો વડે દરેક ગલીઓ અને દરેક ઘરે-ઘરે જઈને સઘન ફોગિંગ કરવામાં આવ્યું હતું. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય મચ્છરજન્ય જીવાતનો મૂળમાંથી નાશ કરી, ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને રોગમુક્ત અને આરોગ્યપ્રદ વાતાવરણ પૂરું પાડવાનો છે.
આ સેવાકીય પ્રકલ્પ અંગે યંગ ઇન્ડિયા ગ્રુપના સ્થાપક અને માર્ગદર્શક ડૉ. દેવેન રબારીએ જણાવ્યું હતું કે:સમાજના છેવાડાના વિસ્તારોમાં રહેતા નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષા એ જ અમારી પ્રાથમિકતા છે.
બીમારી આવ્યા પછી ઇલાજ કરવા કરતા, રોગચાળો ફેલાય જ નહીં તેવી તકેદારી રાખવી એ જ સાચું સામાજિક કાર્ય છે. મોરબીનો દરેક વિસ્તાર સ્વચ્છ અને દરેક નાગરિક રોગમુક્ત રહે તેવા વિઝન સાથે અમે આ કાર્ય કરી રહ્યા છીએ.
આગામી દિવસોમાં પણ શહેરના અન્ય પછાત વિસ્તારોમાં આ કામગીરી અવિરત ચાલુ રાખવાનો સંકલ્પ સંસ્થા દ્વારા કરવામાં આવ્યો છે.”આ ભગીરથ કાર્યને સફળ બનાવવા માટે સંસ્થાના અગ્રણી સભ્યો દિનેશભાઈ રબારી તથા ભાનુબેન નાગવાડીયા સહિતના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી. ટીમ દ્વારા ઘરે-ઘરે જઈને માત્ર ફોગિંગ જ નહીં, પરંતુ લોકોને પાણીના ભરાવા અટકાવવા અને સ્વચ્છતા રાખવા માટે પ્રેરક માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.સ્થાનિક રહીશોએ યંગ ઇન્ડિયા ગ્રુપની આ સમયસૂચકતા અને સેવાભક્તિને હૃદયપૂર્વક બિરદાવી આભારની લાગણી વ્યક્ત કરી હતી. આ અભિયાન દ્વારા સંસ્થાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે તે માત્ર વાતોમાં નહીં પરંતુ પાયાના નક્કર કાર્યોમાં વિશ્વાસ ધરાવે છે.









