નગરના તમામ બાળકો અને વાલીઓ ભાગ લઈ શકશે : અનેક જૂની-પુરાણી 39 જેટલી ગેમ્સ રમાડાશે
ટંકારા : ટંકારાના આર્ય વિદ્યાલયમાં શનિવારે સામાજિક રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અનેક જૂની રમતો પણ યોજાશે. આ રમતોત્સવમાં નગરના તમામ લોકો ભાગ લઈ શકશે.
હાલના ટેકનોલોજીના યુગમાં બાળકો અને તેના માતા-પિતા બધામાં મોબાઈલનું વળગણ છે. ત્યારે એક દિવસ લોકો મોબાઈલથી દુર રહી પારિવારિક માહોલમાં રમતો રમીને મનોરંજન માણે તે હેતુથી ટંકારાની આર્ય વિદ્યાલયમાં તા.8ને શનિવારે સવારે 8 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી સામાજિક રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
આ રમતોત્સવમાં સાત ઠીકરી, સોય પોરવણી, રાઇફકિંગ, ડોલ બોલ, ઠેરીની રમત, રસ્સા ખેંચ, બટેકા કૂચ જેવી અવનવી અને જૂની-પુરાણી 39 જેટલી રમતો યોજાશે. આ રમતોત્સવની ખાસ વાત એ છે કે તેમાં નગરના કોઈ પણ બાળકો અને તેના માતા-પિતા તેમજ કુંટુંબીજનો ભાગ લઈ શકશે. રમતોત્સવ પૂર્ણ થયા બાદ પ્રીતિ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.