હળવદથી દ્વારિકા જવા માટે હાલમાં એક જ બસ દિવસ દરમિયાન જતી હતી અને આ બસ આગળથી જ મુસાફરોથી ભરેલી આવતી હોવાથી હળવદથી દ્વારિકા જવા વાળા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. ત્યારે આ સમગ્ર મામલે હળવદ શહેર ભાજપ પ્રમુખ તપનભાઈ દવે દ્વારા એસ.ટી વિભાગના વિભાગીય નિયામકને રજૂઆત કરતા આજ રોજ તેમની રજૂઆત રંગ લાવી છે અને હવે હળવદ અને ધ્રાંગધ્રાવાસીઓ માટે દ્વારિકાધીશ મંદિર જવા માટે પૂનમ સ્પેશિયલ 2*2 લકઝરી બસ સેવાનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે.
હળવદ અને ધ્રાંગધાના નાગરિકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. બંને તાલુકામાંથી દ્વારિકાધીશ મંદિર પૂનમ ભરવા માટે અનેક લોકો જતા હોય છે. ધ્રાંગધ્રા અને હળવદથી દ્વારિકા જવા માટે એક માત્ર બસ જે અમદાવાદથી દ્વારિકા જતી હતી. જે કાયમ આગળથી જ બસ પેસેન્જરોથી ભરાયેલી હોય જેથી હળવદ અને ધ્રાંગધ્રા તાલુકાના લોકોને આ બસ સેવાનો લાભ મળી શકતો નહોતો એટલે સ્પેશિયલ વાહન ભાડે બાંધી ને જવું પડે અથવા તો સુરેન્દ્રનગર જઈ અને ટ્રેનમાં કે મોરબીથી બસમાં જવું પડે આમ દ્વારિકાધીશ મંદિર નિત્ય પૂનમ ભરતા ભાવિકોને દ્વારિકા પહોંચવા અગવડ પડતી હતી. આ અંગેની જાણ સામાજિક કાર્યકર્તાઓએ શહેર ભાજપ પ્રમુખ તપનભાઈ દવેને કરતા તેઓ દ્વારા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા અને સાંસદ ચંદુભાઈ શિહોરાને રજૂઆત કરી સાથે એસ.ટી વિભાગના વિભાગીય નિયામકને રૂબરૂ રજૂઆત કરતા ડી. ટી. ઓ દ્વારા પૂનમ સ્પેશિયલ 2*2 લકઝરી બસ સેવા ચાલુ કરાવી છે. જેનો શુભારંભ 13 તારીખને ગુરુવારના રોજ રાત્રે 9 કલાકે ધ્રાંગધ્રા ડેપો ખાતેથી થશે. આ બસ 9:30 કલાકે હળવદ પહોચશે અને ત્યાંથી દ્વારિકા જવા માટે રવાના થશે. જે વહેલી સવારે દ્વારિકા પહોંચશે અને મંગળા આરતીના લાભ ભાવિક ભક્તોને મળી રહેશે. જ્યારે આ બસ રિટર્ન પૂનમના દિવસે બપોરે 2 કલાકે દ્વારિકાથી ઉપડશે. ત્યારે આ સેવાનો લાભ લેવા હળવદ અને ધ્રાંગધ્રા સહિત આસપાસના ભાવિક ભક્તોને અનુરોધ કરવામાં આવ્યો છે. આ બસ સેવાનું ઓનલાઈન બુકિંગ પણ કરાવી શકાશે.