વાંકાનેરના જડેશ્વર રોડ ઉપર નગરપાલિકા દ્વારા ફાળવેલ પ્લોટ નં.૨૯માં બે દુકાનો બનાવી ગેરકાયદેસર દબાણ કરનાર સામે ગુજરાત જમીન પચાવી પાડવા અધિનિયમ હેઠળ ફરિયાદ નોંધાય છે, જેમાં ફરિયાદીને સોંપેલ પ્લોટ ઉપર ગેરકાયદે બે દુકાન બનાવી જમીનમાં કબજો કર્યા અંગેની ફરીયાદ આધારે અધિકારીઓ દ્વારા તપાસ કર્યા બાદ દબાણકર્તા વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા, પોલીસે આરોપી વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, ગાંધીગ્રામ રિંગ રોડ ઉપર રૂષી વાટીકા બ્લોક નં.પી રાજકોટ ખાતે રહેતા નિવૃત ગીરીશકુમાર મુળશંકર રાવલ દ્વારા વાંકાનેર સીટી પોલીસ મથકમાં આરોપી રાજેશભાઇ ગોરધનભાઇ મકવાણા રહે. વાંકાનેર દિગ્વિજયનગર પેડક રોડ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું છે કે, વાંકાનેર ટાઉનમાં વડાપ્રધાનના ૨૦ મુદ્દાના આર્થિક કાર્યક્રમ હેઠળ નગરપાલિકા દ્વારા ફાળવવામાં આવેલ પ્લોટ નં.૨૯ માં આરોપી રાજેશભાઈ ગોરધનભાઈ મકવાણા દ્વારા છેલ્લા પાંચ વર્ષથી આ પ્લોટમાં ગેરકાયદેસર રીતે ‘પ્રજાપતિ જનરલ સ્ટોર’ નામે બે દુકાનો બાંધવામાં આવી હતી અને ગેરકાયદેસર કબજો કર્યો હતો. આ અંગે અગાઉ વાંકાનેર મામલતદાર દ્વારા સ્થળ પર તપાસ કરી અહેવાલ આપવામાં આવ્યો હતો, જેમાં દબાણની પુષ્ટિ થઈ હતી અને ગેરકાયદેસર કબજો કરનાર પાસે કોઇ અધિકૃત દસ્તાવેજ ન હોય, જેના આધારે મોરબી કલેકટરે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાયદેસર કાર્યવાહી માટે એફ.આઈ.આર. નોંધવાની મંજૂરી આપી હતી. હાલ વાંકાનેર સીટી પોલીસે આરોપી રાજેશભાઇ મકવાણા વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા ઉપર પ્રતિબંધ અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે