ગરબા ક્લાસીસની આડમાં બેન-દીકરી સાથે કોઈ રોમિયા કે લૂખ્ખાં તત્વો કોઈ બેન-દીકરીને હેરાન પરેસાન ના કરે તેમજ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સમસ્ત મોરબી પાટીદાર સમાજ દ્વારા મોરબીને ડિસ્કો દાંડિયા ક્લાસીસ ને નામે ચાલતા દૂષણોથી મૂક્ત કરાવવા જાહેર સભા નું આયોજન કરવામાં આવ્યું હતું. જે બાદ આ મુદ્દો ઉગ્ર બન્યો છે અને આજ રોજ પાટીદાર અગ્રણી મનોજ પનારા દ્વારા પાટીદાર બહુમતી ધરાવતા વિસ્તારોમાં ગરબા ક્લાસિસ ઉપર પ્રતિબંધ મુકવાની માંગ કરી છે.
મોરબીને ડિસ્કો દાંડિયા ક્લાસીસને નામે ચાલતા દૂષણોથી મૂક્ત કરાવવા મોરબી પાટીદાર સમાજ દ્વારા જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ સભા બાદ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. તેવામાં પાટીદાર સમાજ હજુ પણ આ મુદ્દે ઉગ્ર છે. જેથી આજે મોરબીના પાટીદાર બહુમતી ધરાવતા વિસ્તારોમાં ગરબા ક્લાસિસ ઉપર જ પ્રતિબંધ મુકવાનો નિર્ણય સિરામિક પરિવાર, પાટીદાર સમાજ, પાટીદાર યુવા ગ્રુપ અને મહિલાઓ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. આ મામલે પાટીદાર અગ્રણી મનોજ પનારાએ જણાવ્યું હતું કે, કાલે રાત્રે આ મુદ્દે સિરામિક પરિવાર, પાટીદાર સમાજ, પાટીદાર યુવા ગ્રુપ અને મહિલાઓની મિટિંગ થઈ હતી. જેમાં મોરબીના રવાપર રોડ, એસપી રોડ સહિતના પાટીદાર બહુમતી ધરાવતા વિસ્તારોમાં કોઈ પણ ગરબા ક્લાસિસ ચલાવવામાં નહિ આવે. જો કોઈ બળજબરીથી ચાલુ કરશે. તો તેને પરિણામ ભોગવવું પડશે. કાયદો હાથમાં લેવો પડે તો અમે લેશું. તેવો નિર્ણય કર્યો હતો. કોઈ ગરબા ક્લાસિસ ગેરકાનૂની રીતે ચલાવતું હશે તો સંપૂર્ણ પણે બંધ કરાવવામાં મોરબીના તમામ સમાજ અમને સહયોગ આપે. હવે અસામાજિક કામ કરશે તો મોરબીના લોકો સહન નહિ કરે. કાયદાના પાલન સાથે ગાઈડલાઈન સાથે ગરબા ચાલતા હશે તો પણ પાટીદારોને પ્રવેશ આપવાનો નથી. વૈકલ્પિક વ્યવસ્થા એ છે કે પાટીદાર બહેનો બસ સ્ટેન્ડ પાછળ છાત્રાલય ખાતે ગરબા શીખી શકશે. આ ઉપરાંત શીખવવા વાળાની રોજગારીને અસર ન થાય એટલે જે તે સોસાયટીમાં, સમાજ વાડીમાં કે કોઈ અમારી જગ્યાએ શીખવવાની છૂટ રહેશે.
વધુમાં મનોજ પનારાએ કહ્યું હતું કે, પાટીદાર વિસ્તાર સિવાયના વિસ્તારોમાં તમામ નિયમોના પાલન સાથે ક્લાસિસ ચલાવી શકાશે પણ સંપૂર્ણ જવાબદારી સાથે ક્લાસિસ ચલાવવાના રહેશે. દાંડિયા કલાસના સંચાલકની જવાબદારી રહેશે કે કોઈ પણ દીકરી સાથે છેડછાડ ન થવી જોઈએ. તેનું ભવિષ્ય ન બગડે તેવું કઈ ન થવું જોઈએ. ઉપરાંત ફરજીયાત બહેન- દીકરીઓની અલગ બેચ હોવી જોઈએ. બહેનોને શીખવનાર બહેનો જ હોવી જોઈએ. બેચનો સમય પણ અલગ રહેવો જોઈએ. અમે ગરબાના વિરોધી નથી. પણ તેની આડમાં ગેરકાનૂની પ્રવૃત્તિ થઈ રહી છે તેનો વિરોધ છે. તાજેતરમાં જનક્રાંતિ સભા યોજી તેનો અમને ઠેર ઠેરથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. અમે ગરબા એસોસિએશન સાથે મિટિંગ કરી છે. તેમાં કરી મોટાભાગના મિત્રોએ આ નિર્ણયોની હા પાડી છે. છતાં પણ કોઈ દીકરી સાથે ખરાબ વ્યવહાર થશે અમે કાયદો હાથમાં લેશું. પહેલા હાથ જોડીને વિનંતી કરીશું પછી કાયદો હાથમાં લેવો પડે તો લેશું.