સમગ્ર ભારતના તમામ જિલ્લાઓમાં પ્રધાનમંત્રીને સંબોધન કરી તારીખ ૧૫ સપ્ટેમ્બર સોમવારના રોજ કલેક્ટરને આવેદનપત્ર અપાયું
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ (ABRSM) દ્વારા આજે તારીખ 15 સપ્ટેમ્બરના રોજ સમગ્ર ભારતના તમામ જિલ્લાઓ પર જિલ્લા કલેકટરશ્રીને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને સંબોધન કરતું આવેદનપત્ર આપાયું. સંગઠન દ્વારા તા. ૦૧ સપ્ટેમ્બર ૨૦૨૫ના ઉચ્ચતમ ન્યાયાલય દ્વારા આપવામાં આવેલા ચુકાદા પર તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગણી કરવામાં આવી. આ ચુકાદા અનુસાર ધોરણ ૮ સુધી ભણાવતાં તમામ સેવારત શિક્ષકો માટે શિક્ષક પાત્રતા પરીક્ષા (TET) ફરજિયાત કરી દેવામાં આવી છે, ભલે તેમની નિમણૂંકની તારીખ કોઈપણ હોય. આ સ્થિતિ દેશભરના લાખો શિક્ષકોની સેવા–સુરક્ષા અને રોજગારને સંકટમાં મૂકી શકે છે.
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે સ્પષ્ટ કર્યું છે કે આરટીઈ અધિનિયમ ૨૦૦૯ અને એનસીટીઈ નું તા. ૨૩ ઓગસ્ટ ૨૦૧૦ની જાહેરનામા મુજબ બે અલગ–અલગ શ્રેણીઓ માન્ય હતી — ૨૦૧૦ પૂર્વે નિમણૂંક પામેલા શિક્ષકો, જેઓને પાત્ર માનવામાં આવ્યા હતા અને જેમને TETમાંથી છૂટ આપવામાં આવી હતી, તથા ૨૦૧૦ પછી નિમણૂંક પામેલા શિક્ષકો, જેમને નિશ્ચિત સમયગાળામાં TET પાસ કરવું જરૂરી હતું. ન્યાયાલયના આ ચુકાદાએ આ ભેદને અવગણ્યો છે, જેના કારણે ૨૦૧૦ પૂર્વે નિયમિત રીતે નિમણૂંક પામેલા શિક્ષકોની સેવાઓ પણ અસુરક્ષિત બની ગઈ છે.
એબીઆરએસએમના અધ્યકક્ષે જણાવ્યું કે, અનેક વર્ષોથી શિક્ષણ વ્યવસ્થાને સંભાળી રહેલા અનુભવી શિક્ષકો પર અચાનક TETની ફરજિયાતતા લાદવી માત્ર અન્યાયપૂર્ણ જ નથી પરંતુ તે શિક્ષણની સાતત્યતા પણ ભંગ કરશે. સરકારને તાત્કાલિક હસ્તક્ષેપ કરીને આ નિયમને માત્ર ભવિષ્યની નિમણૂંકો પર લાગુ કરવો જોઈએ.
આ ચુકાદાથી ૨૦ લાખથી વધુ શિક્ષકો પ્રભાવિત થશે. જેઓએ કાનૂની પ્રક્રિયા હેઠળ નિમણૂંક મેળવી હતી, તેમની સેવાઓ હવે અસુરક્ષિત બની ગઈ છે. આ સ્થિતિ શિક્ષકોના મનોબળને ખંડિત કરશે અને શિક્ષણ વ્યવસ્થામાં પ્રતિકૂળ અસર પેદા કરશે.તેથી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસઘે પ્રધાનમંત્રીશ્રીને વિનંતી કરી છે કે આ ચુકાદાને માત્ર ભવિષ્યલક્ષી રીતે અમલમાં મૂકવામાં આવે, ૨૦૧૦ પૂર્વે નિમણૂંક પામેલા શિક્ષકોની સેવા–સુરક્ષા અને ગૌરવની રક્ષા કરવામાં આવે અને જરૂરી નીતિગત અથવા કાનૂની પગલાં લઈને લાખો શિક્ષકોના ભવિષ્યને સુરક્ષિત કરવામાં આવે એ માટે આવેદનપત્ર અર્પણ કરાયું