મોરબીના એમ.ડી. ડો.હિતાર્થી વડસોલાને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાનજી ભૂટા બારોટ કન્વેન્શન હોલમાં ચાર હજારથી વધુ ડોકટર તેમજ અન્ય વિદ્યા શાખાના તેજસ્વી તારલાની હાજરીમાં રાજ્યપાલનાં હસ્તે ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે.
મોરબી જિલ્લા અને રાજ્યના શિક્ષણ અગ્રણી દિનેશભાઈ વડસોલાના દિકરી તથા રામકૃષ્ણ આશ્રમ-રાજકોટમાં આંખના સર્જન તરીકે ફરજ બજાવતા ડો.તરૂણ વડસોલાના બહેન ડો.હિતાર્થી વડસોલાને રાજ્યપાલનાં હસ્તે ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે. ડો.હિતાર્થી વડસોલા બાલ્યકાળથી જ કુશાગ્ર બુદ્ધિ પ્રતિભા ધરાવે છે, તેઓ વર્ષ 2011 માં રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસમાં “ઘર વપરાશમાં સૌર ઊર્જા” નો ઉપયોગ સંશોધન નિબંધ રાષ્ટ્રીયકક્ષાએ પસંદ થયા હતા અને કલકત્તા ખાતે પાંચ દિવસ સુધી દેશ ભરમાંથી આવેલા વિદ્યાર્થીઓ સાથે હિતાર્થીની કૃતિનું એ.પી.જે અબ્દુલ કલામની પ્રેરક ઉપસ્થિતમાં પ્રદર્શનમાં મુકવામાં આવ્યા હતા, ત્યારબાદ વર્ષ 2013 માં હાલના પ્રધાનમંત્રી અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે સન્માન પણ કરાયું હતું, ડો.હિતાર્થી વડસોલાએ ગુરુ ગોવિંદસિંહ મેડિકલ કોલેજ જામનગરથી MBBS પદવી પ્રાપ્ત કરી હતી, અને કોરોના કાળ દરમ્યાન ઇન્ટરસીપ કરતા હોય દર્દીઓની ખુબજ સેવા સુસુશ્રા કરી હતી. ત્યારબાદ પીજી નિટની પરીક્ષામાં ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી પંડિત દિન દયાલ ઉપાધ્યાય મેડિકલ કોલેજમાં એનેસ્થેસિયા ફેકલ્ટીમાં એમ.ડી.ની પદવી પ્રાપ્ત કરી હાલ તેઓ સમ હોસ્પિટલ ભુવનેશ્વર (ઓરિસ્સા) ખાતે એનેસ્થેટિક તરીકે ફરજ બજાવે છે. ડો.હિતાર્થી વડસોલાને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગોલ્ડ મેડલ તરીકે પસંદગી થતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાનજી ભૂટા બારોટ કન્વેન્શન હોલમાં ચાર હજારથી વધુ ડોકટર તેમજ અન્ય વિદ્યા શાખાના તેજસ્વી તારલાની હાજરીમાં રાજ્યપાલ દેવવ્રત તેમજ શિક્ષણ મંત્રી ડો.પ્રદ્યુમન વાજાએ ડો.હિતાર્થી વડસોલાનું ગોલ્ડમેડલ અર્પણ અદકેરું સન્માન કર્યું હતું, આમ મોરબીની દિકરી ગોલ્ડ મેડાલિસ્ટ બનતાં મોરબીનું ગૌરવ વધાર્યું હોય ચોતરફથી અભિનંદનની વર્ષા થઈ રહી છે.









