મોરબીના ધરમપુર રોડ પર ૧૧૨ જનરક્ષક પોલીસ વાનના ચાલકે સરકારી વાહન બેફામ અને ગફલતભરી રીતે ચલાવી રીક્ષા સહિત ત્રણ વાહનોને હડફેટે લીધા હતા. આ અકસ્માતની હારમાળામાં રીક્ષા ચાલક સહિત પાંચને ઇજા પહોંચી, જેમાં બે યુવતીઓને પગમાં ફ્રેકચર જેવી ગંભીર ઇજા થઈ હતી. ત્યારે સમગ્ર અકસ્માતના બનાવ મામલે રીક્ષા ચાલકે પોલીસ વાનના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા બી ડિવિઝન પોલીસે આરોપી પોલીસ કર્મી સામે બીએનએસ અને એમ.વી.એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
મોરબી-૨ વિસ્તારના લાભનગર ખાતે ધરમપુર રોડ ઉપર ૧૧૨ જનરક્ષક પોલીસ વાનના ચાલક પોલીસકર્મીની બેદરકારીને કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં ફરિયાદી જગદીશભાઈ બાબુભાઈ અગેચાણીયા ઉવ.૩૮ રહે. લાભનગર મોરબી-૨ વાળા પોતાની રીક્ષા રજી. નં. જીજે-૩૬-ડબલ્યુ-૪૪૬૨માં પરિવારજનોને લઈને કારખાનેથી ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન રાત્રીના સાડા આઠેક વાગ્યાના સુમારે સામેથી ફુલ સ્પીડમાં આવતી ૧૧૨ જનરક્ષક પોલીસ વાન રજી. નં. જીજે૩૬-જી-૦૧૯૩ના ચાલક પોલીસકર્મીએ સરકારી વાહન ગફલતભરી રીતે ચલાવી રીક્ષાને ટક્કર મારી હતી. અકસ્માતમાં રીક્ષાને પાછળથી આવતી ઇકો સ્પોર્ટ કાર રજી. નં. જીજે-૩૬-એઆર-૭૬૭૬ સાથે પણ ટક્કર વાગી હતી. આ ઘટનામાં ફરિયાદીને માથા, નાક તથા શરીરે ઈજાઓ થઈ હતી, જ્યારે તેમની દીકરી જયશ્રી તથા તેમના એરિયામાં રહેતી દીકરી મિતલને જમણા પગે ફ્રેકચર જેવી ગંભીર ઇજાઓ થઈ હતી. આ સિવાય રીક્ષામાં બેઠેલા પારૂબેન તથા સોનુભાઈ યાદવને સામાન્ય ઈજાઓ પહોંચતા તમામને ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે મોરબીની સમર્પણ હોસ્પિટલ તથા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીસ વાનનો ચાલક પોલીસકર્મી નશાની હાલતમાં હોય તેમ લાગતું હોવાનું પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હાલ અકસ્માતની ઘટનાને લઈ નોંધાવવામાં આવેલ ફરિયાદને આધારે બી ડિવિઝન પોલીસે આરોપી ૧૧૨ જનરક્ષક પોલીસ વાનના ચાલક વિરુદ્ધ બીએનએસની કલમ તથા એમવી એક્ટની કલમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.










