મોરબી મહાનગરપાલિકાની એસ્ટેટ અને દબાણ શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. લાલબાગ દીવાલ, સર્કિટ હાઉસ, રવાપર રોડ સહિતના વિસ્તારોમાં દબાણ દૂર કરી માર્ગોને રાહદારી અને વાહન વ્યવહાર માટે ખુલ્લા કરવામાં આવ્યા હતા. આ સાથે ફેરી કરતા લોકો પાસેથી દંડ વસૂલ કરી સામાન જપ્ત કરવામાં આવ્યો હતો.
મોરબી મહાનગરપાલિકાની એસ્ટેટ અને દબાણ શાખા દ્વારા મહાનગરપાલિકાની હદ વિસ્તારમાં શહેરના વિવિધ વિસ્તારોમાં અનધિકૃત અને ગેરકાયદેસર રીતે કરવામાં આવેલા દબાણોને દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં લાલબાગ દીવાલ, સર્કિટ હાઉસ, રવાપર રોડ સહિતના વિસ્તારોમાં રસ્તા ઉપર કરાયેલા દબાણો હટાવી શહેરના મુખ્ય માર્ગોને દબાણમુક્ત બનાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત, મોરબી શહેરના જુના બસ સ્ટેન્ડ રોડ પાસે દુકાનોની બહાર રાખવામાં આવેલ માલસામાન જપ્ત કરી જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી. માર્કેટિંગ યાર્ડથી ઉમિયા સર્કલ તેમજ નટરાજ ફાટકથી સર્કિટ હાઉસ સુધીના માર્ગ પર કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણ દૂર કરી ટ્રાફિક સમસ્યાનું નિવારણ કરવામાં આવ્યું હતું. આ કામગીરી દરમિયાન જાહેર માર્ગ પર ફેરી પ્રવૃતિ કરતાં આશરે ૨૫ જેટલા લોકોને દંડ ફટકારવામાં આવ્યો હતો.
આ ઉપરાંત પંચાસર રોડ નાકે લાકડાનું દબાણ દૂર કરવામાં આવ્યું તેમજ નાની વાવડી વિસ્તારમાં પણ દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. નિયમિત શુક્રવારે ભરાતી અવધ વિસ્તારમાંની શુક્રવારી બજારને જાહેર માર્ગ પરથી દૂર કરી સમગ્ર માર્ગ ખુલ્લો કરાયો હતો. આ દરમિયાન અંદાજે ૨૨૫ ફેરી કરતા લોકોનો સામાન જપ્ત કરી જાહેર માર્ગ પરથી દૂર કરવામાં આવ્યો હતો, જેના કારણે રાહદારીઓ અને વાહનચાલકોને અવરજવર કરવામાં સરળતા મળી રહેશે. મોરબી મહાનગરપાલિકા દ્વારા શનાળા રોડ અને મહેન્દ્રનગર રોડ સહિતના વિસ્તારોમાં મનપાની મંજૂરી વગર લગાવાયેલા હોર્ડિંગ અને કિયોસ્ક દૂર કરવાની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મનપાની આ કામગીરીથી શહેરના માર્ગો વધુ સુવ્યવસ્થિત અને સલામત બન્યા હોવાનું નાગરિકોમાંથી પ્રતિસાદ મળ્યો છે. તેમ યાદીમાં જણાવવામાં આવ્યું છે.









