મોરબી જીલ્લામાં ગઈકાલ તા. ૨૮ જાન્યુ. ના રોજ એક જ દિવસમાં અપમૃત્યુના ત્રણ અલગ અલગ બનાવ નોંધાયા છે. જેમાં મોરબી શહેરમાં છત પરથી પડવાથી, સોખડા ગામ નજીક સીરામિક ફેક્ટરીમાં કામ દરમ્યાન પડી જવાથી અને હળવદ તાલુકાના કવાડીયા ગામે ગળેફાંસો ખાવાથી ત્રણ વ્યક્તિઓના મોત થયા છે. પોલીસે ત્રણેય બનાવોમાં અ.મોતની નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે.
અપમૃત્યુનો પ્રથમ બનાવ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાં નોંધાયો છે. જેમાં રોયલ પાર્ક, નવલખી રોડ વિસ્તારમાં રહેતા તરૂણભાઇ વાસુદેવભાઇ પંડીયા ઉવ.૪૩નું પોતાના રહેણાંક મકાનની છત ઉપર હોય તે દરમિયાન કોઈ કારણોસર ચક્કર આવવાથી ઊંચાઈએથી નીચે શેરીમાં પટકાયા હતા. જેથી તેમને સારવાર માટે આયુષ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તરુણભાઈને મરણ ગયાનું જાહેર કર્યું હતું. ત્યારે એ ડિવિઝન પોલીસે આ મામલે અ.મોતની નોંધ કરી વધુ તપાસ શરૂ કરી છે.
જ્યારે બીજો બનાવ મોરબી તાલુકાના સોખડા ગામે આવેલી મેટકસ મીનરલ LLP સીરામિક કંપનીમાં નોંધાયો છે. અહીં કંપનીમાં કામ કરતી વખતે સ્વરૂપભાઇ નાયકા ઉવ.૨૫ દિવાલ ઉપરથી પડી જતા ગંભીર ઇજા પહોંચી હતી અને તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. તેમના શેઠ મયુરભાઈ મૃતકની લાશ સરકારી હોસ્પિટલ ખાતે લાવતા પોલીસે અ.મોત રજીસ્ટર કરી આગળની તપાસ ચલાવી છે.
આ ઉપરાંત અપમૃત્યુના ત્રીજા બનાવની પ્રલત વિગતો મુજબ, હળવદ તાલુકાના કવાડીયા ગામે રહેતા અનીલભાઇ ઉર્ફે ચાચુ ખોડાભાઇ ચારોલા ઉવ.૩૦ને તેમના પત્ની સાથે ઝઘડો થયો હોય જેના કારણે મનોમન લાગી આવતા પોતાના રહેણાંક મકાનમાં છતના ભાગે લાકડાની વરી સાથે સાંળી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. મૃત્યુના બનાવ અંગે હળવદ પોલીસે અ. મોત દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.









