મોરબી: જૂના ઘાંટીલા ગ્રામ પરિવાર અને શ્રી જૂના ઘાંટીલા સોશ્યલ ગ્રુપ મોરબી દ્વારા આયોજિત ભવ્ય ‘શ્રી ઉમિયા માતાજી મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ’ અને ‘પટેલ સમાજવાડી લોકાર્પણ’ કાર્યક્રમ યોજાયો હતો. આ સમગ્ર કાર્યક્રમ ઓરેવા ગ્રુપના જયસુખભાઈ ઓધવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. તેમજ પુર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજાની પણ ખાસ ઉપસ્થિતિ રહી હતી. ત્રિ-દિવસીય આ મહોત્સવમાં ધાર્મિક વિધિઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. મહોત્સવમાં 30 જાન્યુઆરીના રોજ દેહશુદ્ધિ યજ્ઞ અને હેમાદ્રી પ્રયોગ સાથે કરવામાં આવી હતી. બીજા દિવસે શનિવારે સવારે પંચાગ કર્મ અને ગર્હ હોમ, પ્રસાદ વાસ્તુ, આરતી સહિતના કાર્યક્રમ યોજાયા હતા. બપોરે ગામમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. રાત્રિના સમયે યોજાયેલી ભજન સંધ્યામાં કલાકારોએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા.
1 ફેબ્રુઆરીને રવિવારના ના રોજ મહોત્સવના અંતિમ દિવસે સવારે માતાજીના મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા હોમ, મહાઅભિષેક અને મહા આરતીનું આયોજન થયું હતું. બપોરે યોજાયેલા સ્ટેજ પ્રોગ્રામમાં આમંત્રિત મહેમાનોનું સ્વાગત, દીપ પ્રાગટ્ય અને દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત સંતોએ આશીર્વચન પાઠવ્યા હતા અને નવનિર્મિત સમાજવાડીના લોકાર્પણને બિરદાવ્યું હતું. મહોત્સવના પૂર્ણાહુતિ પ્રસંગે સાંજે 5:30 કલાકે મહા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જૂના ઘાંટીલા ગામના તમામ સમાજના પરિવારોએ સાથે મળીને પ્રસાદ ગ્રહણ કર્યો હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી જૂના ઘાંટીલા સમસ્ત પાટીદાર પરિવાર અને સોશ્યલ ગ્રુપના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.









