મોરબીના ભરતનગર આઈટીઆઈ નજીક આવેલ પાર્ટિકલ બોર્ડના કારખાનામાં આગ લાગ્યાની ઘટનાએ ચકચાર મચાવી હતી. મોરબી અને હળવદ ફાયર ટીમની સંયુક્ત કાર્યવાહીથી લાંબી જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબુ મેળવાયો હતો, સદનસીબે કોઈ જાનહાની નોંધાઈ નથી.
મોરબીના ભરતનગર આઈટીઆઈ પાસે આવેલ એક્સપર્ટ પાર્ટિકલ બોર્ડ નામના કારખાનામાં ગઈકાલ બપોરે ૧૫:૧૬ વાગ્યે આગ લાગ્યાનો કોલ મોરબી ૧૦૧ ફાયર કંટ્રોલ રૂમને મળ્યો હતો. જાણ થતા જ મોરબી ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. આગ વધુ ફેલાતી જણાતાં હળવદ ફાયર ટીમને પણ મદદ માટે બોલાવવામાં આવી હતી. બંને ફાયર ટીમની સંયુક્ત અને ભારે જહેમત બાદ રાત્રે ૮:૩૦ વાગ્યે આગ પર સંપૂર્ણ કાબુ મેળવવામાં આવ્યો હતો. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની નોંધાઈ નથી, જ્યારે આગ લાગવાનું કારણ હાલ અકબંધ છે.









