મોરબીમાં મચ્છુ નદી ઉપર આવેલા જુના પાડાપુલની મરામત કામગીરીને કારણે તા.૧૨/૦૨ના રોજ રાત્રીના ૧૧ વાગ્યાથી જ્યાં સુધી કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી તમામ વાહનોની અવર-જવર પર પ્રતિબંધ મુકાયો છે. આ મામલે જીલ્લા નાયબ પોલીસ અધિક્ષક જે.બી. આલ અને પ્રાંત અધિકારી પ્રવીણ જેતાવતે પ્રેસ કોન્ફરન્સમાં વિગતો આપી હતી.
મોરબી શહેરમાં મચ્છુ નદી ઉપર આવેલા પાડાપુલ (જુનો પુલ)ની મહત્વપૂર્ણ મરામત કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી જીલ્લા પ્રશાસન દ્વારા ટ્રાફિક પ્રતિબંધ અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. મોરબી જીલ્લા નાયબ પોલીસ અધિક્ષક જે.બી. આલ તથા પ્રાંત અધિકારી પ્રવીણ જેતાવત દ્વારા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં આ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. કાર્યપાલક ઈજનેર, માર્ગ અને મકાન (સ્ટેટ) વિભાગ, મોરબી દ્વારા પાઠવેલ દરખાસ્ત મુજબ મોરબીમાં સામાકાંઠા વિસ્તારને જોડતો પાડાપુલના બેરીંગ બદલવા, જોઇન્ટ બદલવા તેમજ પુલ ઉપર માસ્ટિક આસ્ફાલ્ટની કામગીરી કરવાની છે. આ કામગીરી દરમિયાન જાહેર સલામતી અને ટ્રાફિક વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને પુલ ઉપરથી વાહન વ્યવહાર બંધ રાખવાની જરૂરિયાત જણાતા જીલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી નિર્ણય લેવામાં આવ્યો કે, આગામી તા.૧૨ ફેબ્રુઆરીના રોજ રાત્રીના ૧૧.૦૦ કલાકથી મરામત કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી મચ્છુ નદી ઉપર આવેલા પાડાપુલ (જુના પુલ) પરથી તમામ પ્રકારના વાહનોની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. પ્રશાસન દ્વારા ખાસ કરીને એસ.ટી. બસ માટે વૈકલ્પિક રૂટ જાહેર કરવામાં આવ્યા છે, જેથી મુસાફરોને ઓછી અસુવિધા થાય. જેમાં મોરબી/રાજકોટથી કચ્છ, અમદાવાદ તેમજ કચ્છ અને અમદાવાદ તરફથી મોરબી/રાજકોટ આવનારા વાહનો માટે અલગ-અલગ રૂટ નક્કી કરવામાં આવ્યા છે. પ્રશાસને નાગરિકોને અપીલ કરી છે કે જાહેરનામાનું પાલન કરી વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરે તેમજ મરામત કામગીરી દરમ્યાન ટ્રાફિક પોલીસને સહયોગ આપે, જેથી કામગીરી સમયસર અને સલામત રીતે પૂર્ણ કરી શકાય.









