મોરબી મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઇમરજન્સી શાખા દ્વારા કંડલા બાયપાસ પાસે પાર્કિંગમાં ઉભી કારમાં લાગેલી આગની ઘટના સમયે તાત્કાલિક કાર્યવાહી કરી આગ પર કાબૂ મેળવાયો હતો. અંતે આ ઘટનાને મોકડ્રિલ જાહેર કરવામાં આવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ સાથે તા.૦૩ થી ૦૯ દરમિયાન ફાયર પ્રિવેન્શન અંગે ૮૭ લોકોને તાલીમ આપવામાં આવી હતી.
મોરબીના કંડલા બાયપાસ-નવલખી રોડ વિસ્તારમાં સ્થિત ક્રિષ્ના મેળા નજીક પાર્કિંગમાં રહેલી કારમાં આગ લાગ્યાનો કોલ મળતા મોરબી મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઇમરજન્સી ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર જવાનો દ્વારા સંપૂર્ણ સુરક્ષા સાધનો સાથે આગ ઉપર ઝડપથી કાબૂ મેળવી તેને બુઝાવવામાં આવી હતી. બાદમાં સમગ્ર ઘટનાને મોકડ્રિલ જાહેર કરવામાં આવી હતી. મોકડ્રિલ બાદ ફાયર વિભાગના કર્મચારીઓ દ્વારા મેળાના સંચાલકો અને હાજર નાગરિકોને ફાયર સેફટી, ફાયર સાધનોનો યોગ્ય ઉપયોગ અને ઇમરજન્સી સમયે અગ્નિશમન શાખાનો તાત્કાલિક સંપર્ક કેવી રીતે કરવો તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ મોકડ્રિલનો મુખ્ય હેતુ આકસ્મિક પરિસ્થિતિમાં ઝડપી પ્રતિસાદ આપવાની તૈયારી અને નાગરિકોમાં સુરક્ષા પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો.
આ સિવાય તા.૩ થી ૯ ફેબ્રુઆરી દરમિયાન ફાયર શાખા દ્વારા ૩ સરકારી કચેરીમાં ૩૭, ૧ શાળામાં ૪૦ અને શાકભાજી બજારમાં ૯ મળી કુલ ૮૭ લોકોને ફાયર પ્રિવેન્શન ટ્રેનિંગ આપવામાં આવી હતી. ઉપરાંત સમાજવાડી, કોમ્પ્લેક્સ અને ઇન્ડસ્ટ્રીઝમાં ફાયર સેફ્ટી સર્ટિફિકેટની તપાસ હાથ ધરાઈ હતી. ફાયર એનઓસી ન ધરાવતા બિલ્ડીંગોને નોટિસ પાઠવાઈ અને જરૂરી માર્ગદર્શિકા આપવામાં આવી હતી. અગાઉ આપેલી નોટિસના પગલે ૧૮૫ કોમ્પ્લેક્સ અને ૩૮ સમાજવાડીમાં ફાયર સિસ્ટમ સ્થાપિત કરી કામગીરી શરૂ કરવામાં આવી છે. આ સમયગાળામાં ૩ ફાયર સેફ્ટી અપ્રુવલ માટેની અરજીઓ પ્રાપ્ત થઈ જેને આર.એફ.ઓ. કચેરીમાં ફોરવર્ડ કરવામાં આવી છે. તાજેતરમાં મોરબીમાં ૧ રેસ્ક્યુ કોલ અને ૧ આગની ઘટના નોંધાઈ હતી, જેમાં ફાયર જવાનો દ્વારા આધુનિક સાધનોની મદદથી કામગીરી કરવામાં આવી હતી. આવી કોઈ દુર્ઘટના સમયે મોરબી ફાયર અને ઇમરજન્સી સર્વિસનો ૦૨૮૨૨ ૨૩૦૦૫૦, ૧૦૧ અથવા ૧૧૨ ઉપર સંપર્ક કરી શકાય તેમ ચીફ ફાયર ઓફિસર દ્વારા જણાવાયું છે.









