મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલા બંધ હાલતમાં રહેલ સિરામીક કારખાનામાં કામ કરતી વખતે ઊંચાઈથી પડી જવાથી યુવાનનું સારવાર દરમિયાન મોત થયું છે. આ મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અ.મોતની નોંધ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, વિક્રમભાઈ પરષોત્તમભાઈ પાટડીયા ઉવ.૩૫ રહે.વીસીપરા ભવાનીનગર તા.જી.મોરબી વાળા ગત તા. ૧૧/૦૨ ના રોજ રંગપર ગામની સીમમાં સોમનાથ પેટ્રોલપંપ સામે આવેલા બંધ હાલતમાં લુકાસો સિરામીક કારખાનામાં પતરા કેચી કટીંગનું કામ કરી રહ્યા હતા. તે દરમિયાન આશરે ૨૫ ફૂટ ઊંચી દિવાલ પર બેસી કામ કરતી વખતે અચાનક નીચે પડી જતાં માથામાં તથા શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તા. ૧૩/૦૨/૨૦૨૬ના રોજ સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. આ અંગે રાજકોટ સિવિલમાં ફરજ ઉપર હાજર ડોક્ટર દ્વારા જાણ કરવામાં આવતા, મોરબી તાલુકા પોલીસે મરણ નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે.









