હળવદના ચરાડવા ગામે કથા સાંભળવા આવેલ ૭૦ વર્ષીય વૃદ્ધ મહિલાનું કારની ઠોકરે સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યાનો બનાવ સામે આવ્યો છે, જેમાં મોરબી હળવદ રોડ ઉપર રોડ ક્રોસ કરતી વેક પુરઝડપે આવતી કારે વૃદ્ધાને ટક્કર મારતા, માથામાં અને શરીરે ગંભીર ઇજાઓ પહોચતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જ્યાં ચાલુ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યૂ હતું, બીજી બાજુ અકસ્માત સર્જી કારનો ચાલક પોતાનું વાહન લઈને નાસી ગયો હતો.
મળતી માહિતી અનુસાર, હળવદ તાલુકાના જુના રાસંગપુર ગામે રહેતા ઘનશ્યામભાઇ ચતુરભાઈ પરમાર ઉવ.૪૫ એ હળવદ પોલીસ મથકમાં આરોપી ફોર વ્હીલ કાર રજી.નં. જીજે-૩૬-આર-૯૪૯૯ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, ગત તા.૧૬/૦૨ના રોજ તેઓ અને તેમના માતા તખુબેન ઉવ.૭૦ ચરાડવા ગામે સ્વામિનારાયણ મંદિરે કથામાં આવ્યા હતા, ત્યારે બપોરે તેમના માતા તખુબેન જમીને તેમના ભત્રીજીને મળવા ગયા હતા, જ્યાંથી પરત કથા મંડપે આવતા હોય તે દરમિયાન રોડ ક્રોસ કરતી વેળા મોરબી તરફથી આવતી કારના ચાલકે પોતાનું વાહન પુર ઝડપે અને બેદરકારીથી ચલાવી આવી તખુબેનને ઠોકરે ચડાવી અકસ્માત સર્જ્યો હતો, અકસ્માત સર્જી કારનો ચાલક પોતાની કાર લઈને સ્થળ ઉપરથી નાસી ગયો હતો. ત્યારે ઇજાગ્રસ્ત તખુબેનને તાત્કાલિક સારવાર અર્થે ચરાડવા સ્થિત સરકારી દવાખાને ખસેડતા જ્યાં ચાલુ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. હાલ પોલીસે આરોપી કાર ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









