મોરબીમાં શનાળા રોડ પર ઓવરટેક કરવા જેવી સામાન્ય બાબતમાં થયેલી યુવાનની હત્યાના બનાવે શહેરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. બનાવને વખોડતા આજે સોની સમાજ દ્વારા સોની બજાર સંપૂર્ણ બંધ રાખવામાં આવ્યું હતું અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે કડક પગલાં લેવા તંત્રને અપીલ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, ગુરુવારે રાત્રે મોરબીના શનાળા રોડ પર સુપર માર્કેટથી સરદાર બાગ તરફ જતાં માર્ગ પર રંગોલી આઇસ્ક્રીમ નજીક ઓવરટેક કરવાની બાબતે કાર અને બાઈક સવાર વચ્ચે બોલાચાલી થઈ હતી. કારમાં સવાર જતીન સોની સાથે બાઈક પર આવેલા બે શખ્સો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. અને બોલાચાલી બાદ મામલો બિચકતા બાઈક સવારોએ છરી વડે આડેધડ ઘા ઝીંકી હિચકારો હુમલો કર્યો હતો, જેમાં ગંભીર ઇજાઓને કારણે યુવકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. ત્યારે ઘટનાની જાણ થતાં જ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ, એલસીબી ટીમ તથા ડીવાયએસપી જે.એમ.આલ સહિતના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. વિશ્વાસનીય સૂત્રો મુજબ, હત્યાના બંને આરોપીઓ હાલ પોલીસના હાથવેંતમાં હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવને પગલે સોની સમાજમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે. સમાજ આગેવાનોએ જણાવ્યું કે, ઓવરટેક જેવી સામાન્ય બાબતે સરાજાહેર હત્યા થવી ચિંતાજનક છે અને કાયદો-વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા તંત્રે પુરતી તકેદારી રાખવી જોઈએ. ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ અટકાવવા કડક પગલાં લેવા સોની સમાજે માંગ ઉઠાવી છે. અને આજે સોની બજાર સજ્જડ બંધ કરવામાં આવ્યું છે.









