મોરબીમાં ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાને જીવંત રાખવાના હેતુથી શ્રી મોરબી લોહાણા મહાજન દ્વારા આવતીકાલે તા.૨૧/૦૨/૨૦૨૬ ને શનિવારના રોજ રાત્રે ૦૯:૩૦ કલાકે ભવ્ય “હોળી કે રસિયા” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના વૈષ્ણવ ભક્તો માટે ભક્તિરસથી ભરપૂર આ કાર્યક્રમ ખાસ આકર્ષણરૂપ બનશે.
શ્રી મોરબી લોહાણા મહાજન દ્વારા દર વર્ષે પરંપરાગત તહેવારોને આધ્યાત્મિક ઊર્જા સાથે ઉજવવાની પરંપરા નિભાવવામાં આવે છે. તે જ અનુસંધાને આ વર્ષે પણ હોળીના પર્વને નિમિત્તે “હોળી કે રસિયા” કાર્યક્રમનું આવતીકાલે શ્રી ભવાની જીન મિલ, નવા બસ સ્ટેન્ડ પાસે, શનાળા રોડ, મોરબી ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે પ્રખ્યાત રસિયા મંડળી દ્વારા કૃષ્ણ ભક્તિ અને હોળીના પરંપરાગત રસિયા ગીતોની રજૂઆત થકી ભક્તિમય વાતાવરણ સર્જવામાં આવશે. કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ તરીકે અ.સૌ. શુભાંગી વહુજી (હાલ રાજકોટ બિરાજમાન)નું સાનિધ્ય પ્રાપ્ત થશે, જે ભક્તોને આધ્યાત્મિક આશીર્વાદ અને માર્ગદર્શન આપશે. આ પ્રસંગે શ્રી મોરબી લોહાણા મહાજન દ્વારા શહેરના તમામ વૈષ્ણવ ભક્તો તેમજ શહેરજનોને હોળીના પાવન પર્વની ભાવના સાથે ભક્તિરસનો આનંદ માણવા ભાવપૂર્વક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.









