ગુજરાત વિધાનસભામાં નિયમ-૪૪ હેઠળ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મહત્વપૂર્ણ નિવેદન આપતાં જણાવ્યું કે રાજ્ય સરકાર ‘ગુજરાત મેરેજ રજિસ્ટ્રેશન એક્ટ-૨૦૦૬’ના નિયમોમાં ધરખમ સુધારા કરવા જઈ રહી છે. નવા સુધારાઓ મુજબ હવે લગ્ન નોંધણી પ્રક્રિયામાં માતા-પિતાને સત્તાવાર રીતે સામેલ કરવામાં આવશે તથા તેમના માટે અલગ પોર્ટલ બનાવવામાં આવશે.
ગુજરાત વિધાનસભાના ગૃહમાં આજે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ નિયમ ૪૪ હેઠળ એક અત્યંત મહત્વપૂર્ણ અને સંવેદનશીલ બાબત પર નિવેદન આપ્યું હતું કે, રાજ્યમાં કેટલીક જગ્યાએ લગ્ન નોંધણી પ્રક્રિયામાં રહેલી છટકબારીઓનો ગેરઉપયોગ થતો હોવાની માહિતી સામે આવી છે. ખાસ કરીને પંચમહાલ જિલ્લાના કેટલાક ગામોમાં, જ્યાં એક પણ મુસ્લિમ પરિવાર કે મસ્જિદ નથી, ત્યાં પણ મોટા પ્રમાણમાં ‘નિકાહ’ સર્ટિફિકેટ ઇશ્યૂ થયાની વિગતો સામે આવતા સરકારે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી કડક કાર્યવાહી કરી છે. તેમણે જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ દીકરીઓની સુરક્ષા અને સામાજિક માળખાને મજબૂત બનાવવા સરકાર પ્રતિબદ્ધ છે. નવા સૂચિત નિયમો મુજબ લગ્નની નોંધણી વખતે માતા-પિતાને જાણ કરાશે અને તે માટે ખાસ પોર્ટલ વિકસાવવામાં આવશે. સરકારે આ સુધારાઓ અંગે રાજ્યના નાગરિકો પાસેથી ૩૦ દિવસ સુધી વાંધા અને સૂચનો મંગાવ્યા છે. બંધારણીય મર્યાદામાં રહી યોગ્ય સૂચનોનો અભ્યાસ કરવા કમિટીની રચના કરવામાં આવશે. હર્ષ સંઘવીએ ગૃહમાં જણાવ્યું કે, લવ-મેરેજનો વિરોધ નથી, પરંતુ ‘છેતરપિંડી’ અને ‘બળજબરી’ સામે સરકાર સખત વલણ અપનાવશે. ઓળખ છુપાવીને થતા લગ્નોને તેમણે સંસ્કૃતિ પરનું આક્રમણ ગણાવ્યું અને ચેતવણી આપી કે રાજ્યની દીકરીઓને ભ્રમિત કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. છેલ્લા ત્રણ મહિનામાં વિવિધ સામાજિક સંસ્થાઓ સાથે ચર્ચા કરીને તથા કાયદા-ન્યાય વિભાગના રાજ્ય મંત્રી કૌશિક વેકરિયાની હાજરીમાં અનેક બેઠકો યોજ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.









