કરીયાવર અને ઘરકામ બાબતે માનસિક-શારીરિક ત્રાસનો આક્ષેપ, એસિડ પી લેતાં પરિણીતાનું સારવાર દરમિયાન મોત.
વાંકાનેર ટાઉનના ભરવાડપરામાં રહેતા ૨૮ વર્ષીય પરિણીતાએ એસિડ પી લેતાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હોવાની ઘટના સામે આવી છે. જેમાં મૃતકના ભાઈની ફરિયાદના આધારે બહેનના પતિ, સાસુ અને સસરા વિરુદ્ધ કરીયાવર બાબતે તથા ઘરકામ બાબતે મેણા ટોણા મારી શારીરિક-માનસિક ત્રાસ આપી મરવા મજબૂર કરવાના આક્ષેપ સાથે વાંકાનેર પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
વાંકાનેર શહેરના ભરવાડપરા વિસ્તારમાં રહેતા પરિણીતા રૂપલબેન અવધભાઈ સરેયા ઉવ.૨૮ના ભાઈ મુનાભાઈ રાણાભાઈ સાટકા રહે.જડેશ્વર કોઠારીયા વાંકાનેર વાળાએ વાંકાનેર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત તા.૧૨/૦૫/૨૦૨૩ના રોજ રૂપલબેનના લગ્ન આરોપી અવધભાઈ ભુપતભાઈ સરૈયા સાથે થયા હતા. લગ્ન પછીથી જ આરોપી સાસુ હર્ષાબેન, સસરા ભુપતભાઈ અને પતિ અવધભાઈ દ્વારા કરીયાવર ઓછું લાવ્યાના આક્ષેપો સાથે મેણા-ટોણા મારવામાં આવતા અને રોકડ રકમ તેમજ ઘરેણાં લાવવા દબાણ કરવામાં આવતું હતું. મધ્યમવર્ગીય પરિવાર હોવાને કારણે વધારાની માંગણી પૂરી ન કરી શકાતાં પરિણીતાને શારીરિક તેમજ માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. જે દરમિયાન ગઈ તા.૨૩/૦૨/૨૦૨૬ના રોજ રૂપલબેનની તબિયત બગડ્યાની જાણ થતાં તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પોસ્ટમોર્ટમ દરમિયાન એસિડ પી લેવાથી મોત થયાનું જાણવા મળ્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. હાલ વાંકાનેર પોલીસે આરોપી પતિ અવધભાઈ ભુપતભાઈ સરૈયા, સસરા ભુપતભાઈ ગાંડુભાઈ સરૈયા અને સાસુ હર્ષાબેન ભુપતભાઈ સરૈયા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









