યુવા અગ્રણી મયુર ઠાકોરે પ્રદેશ અધ્યક્ષને કરી રજૂઆત.
મોરબી જીલ્લામાં ભાજપના તાજેતરમાં જાહેર થયેલ હોદ્દેદારોની વરણીમાં ચુવાળીયા કોળી સમાજના પ્રતિનિધિને સ્થાન ન મળ્યાનો આક્ષેપ કરી સમાજમાં નારાજગી જોવા મળી રહી છે. વાંકાનેરના યુવા અગ્રણી મયુર ઠાકોરે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ પંચાલને લેખિત રજૂઆત કરી સમાજના આગેવાનની વરણી તેમજ આગામી ચૂંટણીમાં ટીકીટ આપવાની માંગ કરી છે.
તાજેતરમાં મોરબી જીલ્લા ભાજપ સંગઠનના હોદ્દેદારોની વરણી જાહેર થતા ચુવાળીયા કોળી ઠાકોર સમાજમાં નારાજગીનો માહોલ જોવા મળી રહ્યો છે. સમાજના આગેવાનોનો આક્ષેપ છે કે જીલ્લામાં અને ખાસ કરીને વાંકાનેર તાલુકામાં બહોળી વસ્તી ધરાવતા હોવા છતાં સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું નથી. આ મુદ્દે વાંકાનેરના ચુવાળીયા કોળી ઠાકોર સમાજના યુવા અગ્રણી મયુર ઠાકોરે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ પંચાલને લેખિત રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવાયું છે કે ચુવાળીયા કોળી ઠાકોર સમાજ વર્ષોથી ભાજપ સાથે વફાદારીપૂર્વક જોડાયેલો છે અને અનેક ચૂંટણીઓમાં પક્ષને જીતાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી ચૂક્યો છે. તેમ છતાં તાજેતરમાં જાહેર થયેલ મોરબી જીલ્લા ભાજપના હોદ્દેદારોમાં સમાજને યોગ્ય સ્થાન ન મળતાં સમાજમાં અસંતોષ ફેલાયો હોવાનું રજૂઆતમાં જણાવાયું છે. સાથે જ આગામી સમયમાં આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખી વાંકાનેર વિસ્તારમાં ચુવાળીયા કોળી સમાજનું પ્રભુત્વ ધરાવતી જીલ્લા તેમજ તાલુકા પંચાયતની બેઠકો પર સમાજના આગેવાનને ટિકિટ આપવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે. આ ઉપરાંત હાલમાં ખાલી પડેલા વાંકાનેર તાલુકા ભાજપ પ્રમુખના પદ પર પણ ચુવાળીયા કોળી સમાજના આગેવાનની નિમણૂક કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. યુવા અગ્રણી મયુર ઠાકોરે જણાવ્યું હતું કે સમાજની લાગણીઓને ધ્યાને લઈ યોગ્ય નિર્ણય લેવાશે તો સમાજમાં વ્યાપેલી નારાજગી શાંત થશે અને આવનારી ચૂંટણીઓમાં સમાજ ફરીથી બમણી ઉર્જા સાથે ભાજપને જીતાડવા કામે વળગી જશે. તેમ રજુઆતમાં જણાવવામાં આવ્યું હતું.









