જમીન દલાલો અને વકીલ સહિત પાંચ સામે ફરિયાદ દાખલ, દસ્તાવેજ ન કરી આપતા ભોગ બનનારે પોલીસનો આશરો લીધો.
મોરબીમાં વાવડી ગામે રહેતા ટ્રાન્સપોર્ટર અને ખેડૂત પાસેથી જમીન વેચાણના બહાને ૭૫.૭૫ લાખ રૂપિયા લઈ દસ્તાવેજ ન કરી આપતાં વકીલ સહિત પાંચ વ્યક્તિઓ સામે ઠગાઈ અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવવામાં આવી છે. પાંચેય આરોપીઓએ મળીને કાવતરું રચી જમીનનો સોદો કર્યા બાદ ખૂટતા દસ્તાવેજી કાગળો, જમીન ઉપરનો બોજો, વારસાઈ નોંધ જેવા અલગ અલગ ખર્ચ અને બાદ ફાઇનલ જમીનની કિંમતના તમામ રૂપિયા ચૂકવી આપ્યા છતાં દસ્તાવેજ ન કરી આપી છેતરપીંડી વિશ્વઘાત કર્યો હતો.
મોરબી તાલુકા પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ નાની વાવડી ખાતે રહેતા અને ટ્રાન્સપોર્ટ તથા ખેતી વ્યવસાય કરતા મનીષભાઈ કેશવજીભાઈ મોરડીયા ઉવ.૩૭એ આરોપી અશોકભાઈ સવજીભાઈ મેરજા રહે.બગથળા, સંદીપભાઈ માવજીભાઈ મેરજા રહે. મહેન્દ્રનગર, વકીલ અકીભાઈ શાહ, કેતનભાઈ લાલજીભાઈ સંઘાણી રહે. ઘુંટુ ગામ અને જમીન માલીક રાજેશભાઈ દેશાભાઈ ચૌહાણ રહે. મણેકવાડા ગામ એમ પાંચેય આરોપીઓ વિરુદ્ધ જમીનના સોદામાં ઠગાઈ થવા અંગે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ બગથળા ગામના આરોપી અશોકભાઈ સવજીભાઈ મેરજાએ દલાલી કરી માણેકવાડા ગામની સર્વે નંબર ૨૧૬ની આશરે ૧૦ વિઘા જમીન વેચાણમાં હોવાની માહિતી આપી હતી. ત્યારબાદ સંદીપભાઈ માવજીભાઈ મેરજા, કેતનભાઈ લાલજીભાઈ સંઘાણી, વકીલ અકીભાઈ શાહ અને જમીન માલિક રાજેશભાઈ દેશાભાઈ ચૌહાણે સાથે મળી જમીનનો સોદો રૂ. ૭૬ લાખમાં નક્કી કરવામાં આવ્યો હતો.
જેમાંથી ફરિયાદીએ ટોકન સહિત અલગ અલગ તબક્કામાં કુલ રૂ.૭૫,૭૫,૦૦૦/- જેટલી રકમ રોકડ તેમજ બેંક ટ્રાન્ઝેક્શન દ્વારા ચૂકવી હતી. ત્યારે દસ્તાવેજ થઈ ગયો છે તેમ કહી બાકીના તમામ રૂપિયા ફરિયાદી પાસેથી આરોપી વકીલે પોતાની રૂબરૂ અપાવી દીધા હતા. જ્યારે દસ્તાવેજ આપવાનું કહેતા, વકીલે કહ્યું કે દસ્તાવેજ અન્ય દલાલ આરોપી સંદીપભાઈ લઈ ગયાનું ખોટું બહાનું આપ્યું હતું. અંતે આરોપી દલાલ અશોકભાઈએ કબુલાત આપી કે, જમીનનો દસ્તાવેજ કરવામાં જ નથી આવ્યો. જે બાદ ફરિયાદી દ્વારા તપાસ કરતા તમામ આરોપીઓએ મળીને કાવતરું રચી તેમની પાસેથી રકમ પડાવી લીધી હોવાનું સામે આવ્યું હતું. હાલ ભોગ બનનાર મનીષભાઈની ફરિયાદને આધારે મોરબી તાલુકા પોલીસે પાંચેય આરોપીઓ સામે વિશ્વાસઘાત તથા છેતરપિંડીની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









