મોરબીના સાપર ગામની સીમમાં આવેલ શ્રીરામ પ્લાઝા-૧ શોપિંગ સેન્ટરમાં સીસીટીવી કેમેરાનો વ્યૂ બદલવાની ના પાડતા પાડોશી દુકાનધારકે બે કેમેરા તોડી નાખ્યાનો બનાવ સામે આવ્યો છે. હાલ આ મામલે રૂ.૧૦ હજારના નુકસાન સાથે પોલીસમાં ફરિયાદ નોંધાતા તાલુકા પોલીસે આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના સાપર ગામે પાવળીયારી કેનાલ પાસે આવેલા શ્રીરામ પ્લાઝા-૧ શોપિંગ સેન્ટરમાં દુકાન ચલાવતા વેપારી કિશોરભાઈ અમૃતભાઈ રાઠોડ રહે. હાલ જેતપર ગૌશાળા સામે મૂળ ગામ કોંઢ તા.ધ્રાંગધ્રા જી.સુ.નગર વાળાએ પાડોશી દુકાનધારક સામે સીસીટીવી કેમેરા તોડી નુકસાન પહોંચાડ્યાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ કિશોરભાઈ તથા તેમના પત્ની રંજનબેન દુકાન નં.૩૭ અને ૩૮માં કપડાં સિલાઈનું કામ કરે છે. ત્યારે ગઈ ૧૨ માર્ચના રોજ બાજુની દુકાન નં.૪૦ના આરોપી તૈયબભાઈ મિયાણા દુકાને આવી સીસીટીવી કેમેરાનો વ્યૂ તેમની દુકાન સામે આવતો હોવાથી તેને બદલવા કહ્યું હતું અને જો વ્યૂ ન બદલાય તો રાત્રે કેમેરા તોડી નાખવાની ધમકી આપી હતી. બાદમાં ૧૩ માર્ચની રાત્રે દુકાન બંધ કરી જતા બીજા દિવસે સવારે દુકાન ખોલતા બહાર લગાવેલા બે સીસીટીવી કેમેરા તૂટી ગયેલા જોવા મળ્યા હતા.
દુકાનમાં લગાવેલા અન્ય કેમેરાની તપાસ કરતા રાત્રે લગભગ બે વાગ્યા સુધી રેકોર્ડિંગ જોવા મળ્યું હતું, ત્યારબાદ વીજ પુરવઠો બંધ થવાને કારણે રેકોર્ડિંગ ન થયું હોવાનું જાણવા મળ્યું હતું. સવારે વીજ પુરવઠો શરૂ થતાં ફરી રેકોર્ડિંગ શરૂ થયું હતું. જેથી બે વાગ્યાથી ચાર વાગ્યા વચ્ચે કોઈએ કેમેરા તોડ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ બનાવ અંગે કિશોરભાઈ રાઠોડે પાડોશી દુકાનધારક તૈયબભાઈ મિયાણા સામે રૂ.૧૦ હજારના બે કેમેરા તોડી નુકસાન પહોંચાડ્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









