બંધ કારખાનું શરૂ કરવાના બહાને ૩૩ લાખ લીધા બાદ પ્લોટ સોદામાં વધુ ૮૬ લાખ ઉઘરાવ્યા.
મોરબીમાં રો મટીરીયલ્સના વેપારીને વિશ્વાસમાં લઈ પહેલા બંધ કારખાનું શરૂ કરવા માટે રૂપિયા મેળવ્યા બાદ તે જ કારખાનાની જમીનમાં પ્લોટિંગ કરી ત્યના પ્લોટ વેચાણના નામે વધુ રકમ ઉઘરાવી કુલ રૂ.૧.૧૯ કરોડથી વધુની છેતરપિંડી આચરી હોવાના મામલે સીરામીક કારખાનેદાર સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. આરોપીએ ફરિયાદીને ભાગીદાર બનાવવાની તેમજ બાદમાં પ્લોટ આપવાની લાલચ આપી મોટી રકમ લઈ લીધી હતી, પરંતુ સોદાખત કરેલ પ્લોટ બીજાને વેચી નાખ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ, મોરબી રવાઓર રોડ ઉપર કેપિટલ માર્કેટ સામે ૬૦૧ ગોલ્ડન પેલેસ એપાર્ટમેન્ટમાં રહેતા મૂળ જસાપર તા.મુળી જી.સુ.નગર ના વતની જયેન્દ્રભાઈ અમૃતલાલ દલસાણીયા ઉવ.૪૩ દ્વારા તાલુકા પોલીસ મથકમાં આરોપી યેશા ટાઇલ્સ પ્રા. લિમિટેડના ડાયરેકટર રાજેન્દ્રકુમાર ચતુરભાઈ હલપરા રહે. ૫૦૨ ભગવતી ટ્વિન્સ-બી સાનિધ્ય પાર્ક સોસાયટી રવાપર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે, ફરિયાદી જયેંદ્રભાઈ સિરામીક રો મટીરિયલ્સના વેપારી છે અને આરોપી રાજેન્દ્રકુમાર ચતુરભાઈ હાલપરા સાથે લાંબા સમયથી પરિચિત હતા. આરોપીએ યેશા ટાઈલ્સ પ્રા.લી. નામનું બંધ કારખાનું ફરી શરૂ કરવા માટે પૈસાની જરૂર હોવાનું કહી ફરિયાદીને ભાગીદાર બનાવવાનો વિશ્વાસ આપ્યો હતો.
તે આધારે ફરિયાદીએ વર્ષ ૨૦૨૧-૨૦૨૨ માં અલગ અલગ તારીખે કંપનીના ખાતામાં કુલ રૂ.૧૮.૫૦ લાખ ટ્રાન્સફર કર્યા તેમજ રૂ.૧૫ લાખ રોકડા આપ્યા હતા. બાદમાં કારખાનું ફરી બંધ થઈ જતા આરોપીએ કારખાનાની જમીન પર પ્લોટિંગ કરવાની વાત કરી અને ફરિયાદીને પ્લોટ આપવાનું કહી અગાઉની રકમ સાથે વધુ રૂપિયા માગ્યા હતા.
ઉપરોક્ત પ્લોટના રૂપિયા માટે ફરિયાદીએ સગા-સંબંધીઓ પાસેથી ઉછીના લઈને ફરી ૮૬ લાખ આપી પ્લોટનું સોદાખત કરાવ્યું હતું. જોકે, બાદમાં આરોપીએ તે જ પ્લોટ બીજાને વેચી નાખ્યો અને ફરિયાદીને દસ્તાવેજ ન કરી આપતાં છેતરપિંડીનો ભાંડો ફૂટ્યો હતો. આમ ફરિયાદી સાથે રૂ.૧,૧૯,૫૫,૭૦૮/-ની છેતરપિંડી થઈ હતી. આ મામલે મોરબી તાલુકા પોલીસે આરોપી વિરુદ્ધ ઈ.પી.કો. કલમ ૪૦૬ અને ૪૨૦ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.









