મોરબીના પંચાસર વિસ્તારમાં વર્ષોથી ચાલતી પીવાના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે મહાનગરપાલિકા દ્વારા રૂ.૧૫.૫૭ કરોડના ખર્ચે નવી DI પાઈપલાઈન નેટવર્ક નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્યારે પ્રોજેક્ટ પૂર્ણ થતાં વિસ્તારમાં નિયમિત અને પૂરતું પાણી મળશે.
મોરબીના પંચાસર વિસ્તારમાં જૂની પાઈપલાઈન અને વધતી વસ્તીના કારણે પાણીની અછતની ફરિયાદો સતત સામે આવતી હતી. આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા વિશાળ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. આ યોજના હેઠળ અંદાજે રૂ.૧૫.૫૭ કરોડના ખર્ચે પંચાસર હેડવર્ક્સથી કુલ ૫૮.૭ કિમી લાંબી નવી DI પાઈપલાઈન નેટવર્ક નાખવામાં આવશે. જેમાં વિવિધ વ્યાસની પાઈપલાઈન સાથે નવી સ્લુઈસ વાલ્વ વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવશે, જેથી પાણી પૂરતા ફોર્સ અને જથ્થામાં સપ્લાય થઈ શકે. હાલ સુધીમાં અંદાજે ૨.૩ કિમી પાઈપલાઈન નાખવાની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે.
આ પ્રોજેક્ટ આગામી ૩૦ વર્ષ (૨૦૫૬ સુધી)ની અંદાજિત ૧ લાખથી વધુ વસ્તીની પાણી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે. રહેણાક માટે વ્યક્તિદીઠ ૧૩૫ લિટર, કોમર્શિયલ માટે ૭૦ લિટર અને ફ્લોટિંગ વસ્તી માટે ૨૦ લિટર પાણીના ધોરણ મુજબ આયોજન કરાયું છે. પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ પંચાસર વિસ્તારમાં દરેક ઘરને નિયમિત, પૂરતું અને શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ થશે, જેના કારણે વર્ષોથી ચાલી આવતી પાણીની સમસ્યાનો કાયમી અંત આવવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.









