દેરીનાકા આંગણવાડી પાસે દર બુધવારે અને શનિવારે શ્રમિકો માટે આરોગ્ય રથ સેવામાં હાજર રહેશે.
ટંકારા:
રાષ્ટ્રના નિર્માણના પાયામાં જેનું મહત્ત્વનું યોગદાન છે તેવા બાંધકામ શ્રમિકોના સ્વાસ્થ્યની રક્ષા માટે રાજ્ય સરકાર દ્વારા ટંકારાને નવીન ધનવંતરી આરોગ્ય રથની ભેટ આપવામાં આવી છે. આ રથ હવે ટંકારા તાલુકાના શ્રમિકોને તેમના કામના સ્થળે જ નિઃશુલ્ક તબીબી તપાસ અને દવાઓની સુવિધા ઉપલબ્ધ થશે.
મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતેથી કલેક્ટર કે.બી. ઝવેરી, જિલ્લા પોલીસ વડા મુકેશ પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી નવલદાન ગઢવીની ઉપસ્થિતિમાં આ રથને લીલી ઝંડી આપી ટંકારા ખાતે પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શ્રમિકોના સમય અને નાણાંની બચત કરી, તેમને કાર્યસ્થળ પર જ આરોગ્યપ્રદ જીવનશૈલી પૂરી પાડવાનો છે.
ટંકારા તાલુકામાં બાંધકામ સાઇટ પર કાર્યરત મજૂરો માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે ટંકારા અને આસપાસના વિસ્તારોમાં જ્યાં પણ કન્સ્ટ્રક્શન સાઇટ ચાલુ હશે, ત્યાં રથ રૂબરૂ જઈને શ્રમિકોનું ચેકઅપ કરશે. દર બુધવારે અને શનિવારે ટંકારામાં દેરીનાકે, આંગણવાડીની નજીક આ આરોગ્ય રથ શ્રમિકોની સેવા માટે ખાસ ઉપસ્થિત રહેશે.
આ રથમાં નિષ્ણાત તબીબી સ્ટાફ દ્વારા શ્રમિકોની તપાસ કરી સ્થળ પર જ વિના મુલ્યે દવાઓ આપવામાં આવશે.
આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પી.વી. શ્રીવાસ્તવ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સુવિધાથી ટંકારા પંથકના હજારો શ્રમિકોને મોટો
ફાયદો થશે.









