મોરબીમાં નિરામય ટ્રસ્ટ, ભારતકેર અને HDFC બેંકના સંયુક્ત ઉપક્રમે ત્રણ જીલ્લામાં ૩૦ હજારથી વધુ બાળકોની આંખોની તપાસ કરાવવામાં આવી હતી. આ અંતર્ગત ૧૩૯૮ બાળકોને નિઃશુલ્ક ચશ્મા આપવામાં આવ્યા હતા.
મોરબીમાં નિરામય ચેરીટેબલ ટ્રસ્ટ, ભારતકેર અને HDFC બેંકના સંયુક્ત સહયોગથી ‘પ્રોજેક્ટ દ્રષ્ટિ’ અંતર્ગત ચશ્મા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. ટી.કે. હોટેલ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં મોરબી જીલ્લાના ૧૩૯૮ વિદ્યાર્થીઓને નિઃશુલ્ક ચશ્મા અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રોજેક્ટ અંતર્ગત મોરબી, રાજકોટ અને જામનગર જીલ્લાની વિવિધ શાળાઓમાં કુલ ૩૦,૦૯૪ વિદ્યાર્થીઓની આંખોની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી ૫૧૯૦ વિદ્યાર્થીઓને દ્રષ્ટિની ક્ષતિ જણાઈ હતી. મોરબી જીલ્લામાં આશરે ૧૪ ટકા વિદ્યાર્થીઓમાં દ્રષ્ટિની સમસ્યા જોવા મળી હતી, જ્યારે રાજકોટ અને જામનગરમાં આ પ્રમાણ લગભગ ૨૦ ટકા જેટલું નોંધાયું હતું.
કાર્યક્રમ દરમિયાન ડૉ. હરીપ્રકાશ હડિયલે જણાવ્યું હતું કે બાળકોમાં દ્રષ્ટિની સમસ્યા સમયસર શોધી તેનું નિદાન કરવું ખૂબ જરૂરી છે. આ પ્રસંગે ડૉ. ગૌરવ શુકલા, ડૉ. અશ્વિનભાઈ નકુમ, વ્હાબભાઈ જીંદાણી, ડૉ. સંજય શાહ, જીલ્લા શિક્ષણ અધિકારી કમલેશ મોતા તેમજ દિનેશભાઈ વડસોલા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં જીલ્લાના આશરે ૪૦ સરકારી અને માધ્યમિક શાળાના પ્રિન્સિપાલોને ચશ્માના બોક્સ સોંપવામાં આવ્યા હતા. અંતે સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના કાર્યકરોની મહેનતને બિરદાવવામાં આવી હતી.









