મહેશભાઈ ઠાકર પરિવાર દ્વારા નવ દિવસીય કથામૃતનું આયોજન, શાસ્ત્રી હંસદેવગીરી બાપુ દ્વારા કથાનું રસપાન.
મોરબી તાલુકાના નવી પીપળી ગામે સ્વ. શાંતિલાલભાઈ ઠાકર અને કુંદનબેનના મોક્ષાર્થે ૨૩ એપ્રિલથી ૧ મે સુધી શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આજ આ મહાયજ્ઞનો ત્રીજો દિવસ છે. જેમાં આંતરરાષ્ટ્રીય કથાકાર હંસદેવગીરી બાપુ દ્વારા સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવવામાં આવી રહ્યું છે, આ શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ દરમિયાન અનેક ધાર્મિક પ્રસંગોનું ભક્તિભાવ સાથે ઉજવણી તેમજ મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
મોરબી તાલુકાના નવી પીપળી ગામે મહેશભાઈ શાંતિલાલ ઠાકરના આંગણે ભવ્ય “શ્રી શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ”નું આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક આયોજન સ્વ. શાંતિલાલ રેવાશંકર ઠાકર અને માતૃશ્રી સ્વ. કુંદનબેન ઠાકરના પરમ મોક્ષાર્થે કરવામાં આવ્યું છે. ૨૩ એપ્રિલથી ૧ મે ૨૦૨૬ સુધી ચાલનારા આ નવ દિવસીય પારાયણનો સમય દરરોજ બપોરે ૩ થી ૬.૩૦ વાગ્યા સુધી રાખવામાં આવ્યો છે. આ કથામાં આંતરરાષ્ટ્રીય શિવ કથાકાર શાસ્ત્રી શ્રી હંસદેવગીરી બાપુ (શિવાશ્રમ, નવાગામ-કાલાવાડ) પોતાની સુમધુર અને સંગીતમય શૈલીમાં ભક્તોને શિવતત્વનો અમૂલ્ય ઉપદેશ આપશે. કથાના પ્રારંભ દિવસે શોભાયાત્રા અને પોથીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ નવ દિવસ દરમિયાન વિવિધ પાવન પ્રસંગો ઉજવાશે, જેમાં શ્રી સતી પ્રાગટ્ય મહોત્સવ, શિવ-પાર્વતી વિવાહ, શિવ પ્રાગટ્ય, શિવ તાંડવ, ગૃહસ્થાશ્રમ મહિમા, ગણપતિ પ્રાગટ્ય, દ્વાદશ જ્યોતિર્લિંગ કથા જેવા ધાર્મિક કાર્યક્રમોની ભક્તિમય ઉજવણી કરવામાં આવશે. આ સમગ્ર આયોજનમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહી કથામૃતનો લાભ લઈ રહ્યા છે. અંતિમ દિવસે મહાપ્રસાદનું આયોજન પણ રાખવામાં આવ્યું છે. ઠાકર પરિવાર દ્વારા સર્વે ભક્તજનોને પરિવાર સાથે ઉપસ્થિત રહી આ પવિત્ર પ્રસંગમાં જોડાઈ કથા શ્રવણનો લાભ લેવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.





