૨૧ દંપતિઓ લગ્ન ગ્રંથીમાં બંધાશે, દિકરીઓને દાગીના સહિત ગૃહઉપયોગી સામાન ભેટ આપવામાં આવશે.
મોરબીના નવલખી રોડ સ્થિત શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તા. ૨૭ એપ્રિલે નવમો સર્વજ્ઞાતિ સમૂહલગ્ન યોજાશે, જેમાં ૨૧ નવદંપતિઓ પ્રભુતામાં જોડાશે. દિકરીઓને સોના-ચાંદીના દાગીના તથા ૧૦૦થી વધુ ગૃહઉપયોગી ચીજવસ્તુઓ ભેટ આપવામાં આવશે. સમાજમાં સહકાર અને સેવા ભાવનાને પ્રોત્સાહિત કરતું આ આયોજન શહેરના આગેવાનો અને સંસ્થાઓના સહયોગથી યોજાઈ રહ્યું છે.
મોરબીના નવલખી રોડ પર રેલ્વે સ્ટેશન નજીક આવેલ આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર એવા શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નવમો સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ સમૂહલગ્ન તા. ૨૭ એપ્રિલ ૨૦૨૬ સોમવારના રોજ બહુચર પાર્ટી પ્લોટ રોકડીયા હનુમાન મંદિર પાસે નવલખી રોડ મોરબી ખાતે યોજાશે. આ સમૂહલગ્નમાં સર્વજ્ઞાતિના કુલ ૨૧ દંપતિઓ લગ્ન જીવનમાં પ્રવેશ કરશે. દિકરીઓને કરિયાવરરૂપે મંદિર ટ્રસ્ટ અને દાતાઓના સહયોગથી સોના-ચાંદીના દાગીના ઉપરાંત ૧૦૦થી વધુ ગૃહઉપયોગી ચીજવસ્તુઓ ભેટ આપવામાં આવશે. લગ્નવિધિ આચાર્ય શાસ્ત્રી મુકેશભાઈ જોષી દ્વારા સંપન્ન કરાવવામાં આવશે.
કાર્યક્રમ અનુસાર સાંજે ૭ વાગ્યે સંતો-મહંતોના આશીર્વચન તથા મહાપ્રસાદનું આયોજન રાખવામાં આવ્યું છે, જ્યારે હસ્તમેળાપની વિધિ સાંજે ૭.૪૫ વાગ્યે યોજાશે. સમૂહલગ્ન પ્રસંગે સંતો-મહંતો, રાજકીય અને સામાજિક આગેવાનો, વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ, રેલ્વે અધિકારીઓ તેમજ મહિલા સંગઠનોના આગેવાનો ઉપસ્થિત રહેશે. આ આયોજનને સફળ બનાવવા મંદિરના ટ્રસ્ટીઓ, સેવાભાવી ભક્તો તથા મહિલા સંસ્થાઓ સક્રિય સહયોગ આપી રહી છે. ઉલ્લેખનીય છે કે મંદિરને મળતું દાન વર્ષભર વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ જેમ કે સમૂહલગ્ન, નવરાત્રી મહોત્સવ, સાર્વજનિક દવાખાનું, ગૌસેવા તથા વિદ્યાર્થીઓને મફત શૈક્ષણિક સામગ્રી વિતરણમાં ઉપયોગમાં લેવામાં આવે છે, જે મંદિરના સેવાભાવી કાર્યને પ્રતિબિંબિત કરે છે.





