રાજકોટથી કબરાઉ દર્શને જઈ રહેલા વેપારી પરિવારને માળીયા નજીક નડ્યો અકસ્માત, વેપારી પતિ-પત્ની સહિત ત્રણ ઘાયલ.
મોરબી-કચ્છ હાઈવે પર માળીયા ત્રણ રસ્તા નજીક કોઈ કારણોસર ડિવાઈડર ટપીને આવેલા ડમ્પરે કારને ઠોકર મારતા રાજકોટના વેપારી પરિવારના ત્રણ સભ્યો ઇજાગ્રસ્ત થયા છે. જેમાં પત્ની અને સાળીને ગંભીર ઇજાઓ સાથે ફ્રેકચર થતા સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા.
મોરબી-કચ્છ નેશનલ હાઈવે પર માળીયા ત્રણ રસ્તા નજીક આવેલા ઓવરબ્રિજ પાસે કોઈ કારણોસર ડિવાઈડર ટપીને આવેલા ડમ્પરે કારને ઠોકર મારતા અકસ્માત સર્જાયો હતો જે બનાવ અંગે વેપારી પ્રવીણભાઈ મોહનભાઇ વેકરીયા ઉવ.૫૬ રહે.નાના મૌવા સાકેત પાર્ક-૨ શેરી નં.૨ રાજકોટ વાળાએ માળીયા(મી) પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદ મુજબ, ગત તા.૨૨/૦૪ ના રોજ તેઓ પોતાના પરિવાર સાથે રાજકોટથી કબરાઉ દર્શન માટે જઈ રહ્યા હતા ત્યારે સામેની સાઈડથી પુરઝડપે આવેલા ડમ્પર રજી.નં. જીજે-૧૨-બીવી-૫૬૭૧એ ડિવાઈડર ટપીને તેમની ટોયોટા હાઈરાઈડર કાર રજી.નં. જીજે-૦૩-એનપી-૨૯૬૬ને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં પ્રવીણભાઈને સામાન્ય ઈજા થઈ હતી, જ્યારે તેમના પત્ની રીટાબેનને છાતી અને કરોડરજ્જુના ભાગે ફ્રેકચર તથા સાળી સોનલબેનને પગમાં ફ્રેકચર જેવી ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર બાદ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ માળીયા(મી) પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા તથા મોટર વ્હીકલ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.





