ભારતીય ડાક કર્મચારી મહાસંઘ દ્વારા પોસ્ટ વિભાગમાં કર્મચારીઓ પર વધતા ટાર્ગેટના દબાણ, ખાનગીકરણને પ્રોત્સાહન આપતી નીતિઓ અને લાંબા સમયથી પડતર રહેલી વિવિધ માંગણીઓના મુદ્દે રાષ્ટ્રવ્યાપી આંદોલનની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય પોસ્ટલ એમ્પ્લોઈઝ ફેડરેશન (BPEF) ગુજરાત સર્કલે આ અંગે માહિતી આપી હતી.
સંઘના જણાવ્યા મુજબ, પોસ્ટ વિભાગના કર્મચારીઓની ભરતી ગ્રાહકોને સેવા આપવા માટે કરવામાં આવે છે, પરંતુ હાલમાં વિવિધ યોજનાઓના ટાર્ગેટ પૂર્ણ કરવા કર્મચારીઓ પર ભારે દબાણ કરવામાં આવી રહ્યું છે. કેટલીક જગ્યાએ કર્મચારીઓ પોતાના નાણાં ખર્ચીને ખાતા ખોલાવવા મજબૂર બનતા હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે. આંદોલનના કાર્યક્રમ મુજબ 20થી 27 જુલાઈ દરમિયાન કર્મચારીઓ કાળા બેજ ધારણ કરીને ફરજ બજાવશે. ત્યારબાદ 28 જુલાઈએ બપોરના વિરામ દરમિયાન વિભાગીય કચેરીઓ સમક્ષ વિરોધ પ્રદર્શન યોજાશે. 5 ઓગસ્ટે એક દિવસીય રાષ્ટ્રવ્યાપી હડતાળ રાખવામાં આવી છે. જો માંગણીઓનો ઉકેલ નહીં આવે તો 18 ઓગસ્ટથી અનિશ્ચિતકાલીન હડતાળ શરૂ કરવાની ચીમકી પણ આપવામાં આવી છે. મહાસંઘે ટાર્ગેટ આધારિત શોષણ બંધ કરવું, પોસ્ટ વિભાગ અને સંબંધિત શાખાઓની ખાલી જગ્યાઓ ભરવી, ખાનગીકરણ તરફ દોરી જતી નીતિઓ પાછી ખેંચવી, ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહી કરવી તેમજ મૃતક આશ્રિતોના કેસોનો તાત્કાલિક નિકાલ સહિત અનેક માંગણીઓ સરકાર સમક્ષ મૂકી છે. ફેડરેશને તમામ પોસ્ટલ કર્મચારીઓને આ આંદોલનમાં સક્રિયપણે જોડાવા અપીલ કરી છે અને જણાવ્યું છે કે આ લડત કર્મચારીઓના હિતો ઉપરાંત જાહેર ડાક સેવાના ભવિષ્યના રક્ષણ માટે પણ મહત્વપૂર્ણ છે.






