ટંકારા:
ઇસ્લામ ધર્મમાં શોક અને મહાન બલિદાનના પ્રતીક સમાન મોહરમ તહેવારની દેશભરમાં આસ્થાભેર મનાવણી કરવામાં આવી રહી છે. હઝરત ઇમામ હુસેન અને કરબલાના વીર શહીદોની યાદમાં ઉજવાતા આ દિવસો દરમિયાન ટંકારામાં મુસ્લિમ બિરાદરો દ્વારા ‘સબીલ’નું સુંદર આયોજન કરીને દાન અને માનવતાની અનોખી મિસાલ પેશ કરવામાં આવી છે.
આ સેવાકાર્ય અંતર્ગત ટંકારાની મેઈન બજારમાં ખાસ ઉત્સાહ અને આયોજન જોવા મળ્યું હતું. અહીં મેઈન બજારમાં આવેલ ચિશ્તીયા ગ્રુપ દ્વારા સંચાલિત ‘શાહે મદિના સબીલ કમિટી’ દ્વારા રાહદારીઓ માટે ઠંડા પીણાં અને શરબત નું તથા લંગર નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનને સફળ બનાવવા માટે કમિટીના સભ્યો ઇમ્તિયાઝ મકવાણા, સિરાજ મકવાણા, એઝાઝ મકવાણા, બિલાલ સંખેરા, મોહસીન સંખેરા, મુસ્તાક મકવાણા, રમઝાન મકવાણા, સાબિર મકવાણા, અમન મકવાણા, અમીન મડાકીયા, મુસ્તાક સંખેરા અને અશફાક સંખેરા હરીયાભાઈ સહિતના યુવાનો અને વડીલો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે અને ખડેપગે સેવા આપી રહ્યા છે.
કરબલાના મેદાનમાં ઇમામ હુસેન અને તેમના સાથીઓ પર પાણી બંધ કરી દેવામાં આવ્યું હતું. તેમની એ જ પાણી માટેની તડપ અને સર્વોચ્ચ બલિદાનની યાદમાં મોહરમ દરમિયાન સબીલનું આયોજન કરવાની એક મહત્વપૂર્ણ પરંપરા છે. સબીલ એટલે માર્ગ પરથી પસાર થતા રાહદારીઓ અને મોહરમની ઉજવણીમાં ભાગ લેનારા તમામ લોકો માટે ઠંડા પાણી, શરબત કે દૂધની વિવિધ વાનગીઓનું વિનામૂલ્યે વિતરણ કરવું.
મોહરમના પ્રથમ દસ દિવસો દરમિયાન ટંકારાના વિવિધ વિસ્તારોમાં સેવાના સ્ટોલ ધમધમી રહ્યા છે. ટંકારાના મોમિન, ફકિર, ધાંચી અને સંધી સહિતના સમગ્ર મુસ્લિમ સમુદાયના લોકો આ સેવાયજ્ઞમાં ઉત્સાહભેર જોડાયા છે. સમુદાયના યુવાનો દ્વારા શેરીઓમાં અને મુખ્ય માર્ગો પર ખાસ સ્ટોલ (સબીલ) ઊભા કરવામાં આવ્યા છે, જ્યાંથી પસાર થતા દરેક ધર્મના લોકોને પ્રેમપૂર્વક ઠંડા પીણાંનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે.
આ ભગીરથ કાર્ય માત્ર ધાર્મિક પરંપરા જ નહીં, પરંતુ માનવ સેવા અને આપસી ભાઈચારાનું પણ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.






