પતિના અન્ય મહિલા સાથેના સંબંધનો લઈને મારકૂટ, મેણાટોણા અને હેરાનગતિથી કંટાળી મોરબી મહિલા પોલીસમાં ફરિયાદ.
વાંકાનેરમાં રહેતા સરકારી શિક્ષિકાએ પોતાના પતિ સહિત છ સાસરીયાઓ સામે સતત માનસિક અને શારીરિક ત્રાસ, મારકૂટ તેમજ પતિના અન્ય મહિલા સાથેના સંબંધોને સાસરી પક્ષ દ્વારા સહયોગ આપવાના આક્ષેપ સાથે ફરિયાદ નોંધાવી છે. આ સાથે મોરબી મહિલા પોલીસે બીએનએસની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
મળતી વિગતો અનુસાર, વાંકાનેરના ભાટીયા સોસાયટી વિસ્તારમાં રહેતા અને સરકારી શિક્ષિકા તરીકે ફરજ બજાવતા પરવીનબેન અફજલભાઈ તેરવાડીયા ઉવ.૩૮ જર્મનું મૂળ પિયર વીરપુર(જલારામ) તા.જેતપુર જી.રાજકોટ વાળાએ પોતાના પતિ અફજલભાઈ આરીફભાઈ તેરવાડીયા, સાસુ-સસરા આરીફભાઈ ઈસ્માઈલભાઈ તેરવાડીયા, મેફુજાબેન આરીફભાઈ તેરવાડીયા, દેર-દેરાણી ઈરફાનભાઈ આરીફભાઈ તેરવાડીયા, રોજમીનબેન ઈરફાનભાઈ તેરવાડીયા તથા ફુવાજી સસરા સલીમભાઈ ગનીભાઈ કરગથરા તમામ રહે.જેતપુર જી.રાજકોટ વાળા સહિત કુલ છ આરોપીઓ સામે મોરબી મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ તેમના લગ્ન વર્ષ ૨૦૧૭માં અફજલભાઈ સાથે જ્ઞાતિના રીત રિવાજ મુજબ થયા હતા, લગ્નના શરૂઆતના વર્ષો બાદ પતિના અન્ય મહિલા સાથે સંબંધ હોવાની જાણ થતાં વારંવાર ઝઘડા થતા હતા. ત્યારે પતિ દ્વારા મારકૂટ કરી વારંવાર પિયર મૂકી જતો. અને આ બાબતે સાસરીયાઓ તેમના પતિને સમર્થન આપી મેણાટોણા મારતા, અપમાનિત કરતા અને માનસિક તેમજ શારીરિક ત્રાસ આપતા હતા. જેથી કંટાળી મહિલાએ મોરબી મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બીએનએસ કલમ ૮૫, ૧૧૫(૨), ૩૫૨ અને ૫૪ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.






