મોરબી શહેર-તાલુકા વિસ્તારમાં ગઈકાલે એક જ દિવસમાં પાંચ અલગ-અલગ અપમૃત્યુના બનાવ નોંધાયા હતા. જેમાં ડૂબી જવાથી, સારવાર દરમિયાન, હાર્ટ એટેકથી અને ગળેફાંસો ખાઈ જવાથી કુલ પાંચ વ્યક્તિના મોત થયા હતા.
પ્રથમ અપમૃત્યુના બનાવની મળતી વિગત મુજબ, મોરબી-૨ શોભેશ્વર સોસાયટીમાં રહેતા રાજેશકુમાર હીરાલાલ કુરીલ (ગૌતમ) ઉવ.૪૬ને ગઈકાલે તા.૧૨/૦૯/૨૦૨૬ના રોજ બપોરે ૪ વાગ્યાની આસપાસ ઘરે તબિયત લથડતાં હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન મોત થયું હતું.
જ્યારે અપમૃત્યુના બીજા બનાવમાં લખધીરનગર રોડ પર આલ્ફા સીરામીકની લેબર કોલોનીમાં રહેતા રાહુલભાઈ માનસિંગ નાયક ઉવ.૨૬ ગત તા.૧૧/૦૯ના રોજ આલ્ફા સીરામીક પાસેની કેનાલમાં પડી જતા ડૂબી ગયા હતા અને ગઈકાલ તા.૧૨/૦૯ના રોજ જોધપર નદી નજીક મચ્છુ-૨ ડેમમાંથી મૃત હાલતમાં મળી આવ્યા હતા.
અપમૃત્યુની ત્રીજા બનાવમાં બેલા ગામની સીમમાં સ્માર્ટી ગોડાઉન કારખાનાની બાજુમાં ગઈકાલ તા.૧૨/૦૯ના રોજ આશરે ૩૦થી ૩૫ વર્ષના અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે પોસ્ટમોર્ટમમાં હાર્ટ એટેકના કારણે મોત થયાનું સામે આવ્યું હતું.
આ ઉપરાંત અપમૃત્યુના ચોથા બનાવની પ્રાપ્ત વિગતો મુજબ, પલાસ ગામના કાનાભાઈ મોતીભાઈ ગમારા ગત તા.૦૬/૦૫/૨૦૨૬ના રોજ લખધીરપુર રોડ પર કોરલ ગોલ્ડ યુનિટ-૨ સીરામીક કારખાનામાં શેડ ઉપર પતરાનું કામ કરતી વખતે પતરુ તૂટી પડતાં નીચે પટકાયા હતા. જેઓ છેલ્લા ચાર મહિનાથી સારવાર હેઠળ હોય તેઓનું સારવાર દરમિયાન ગઈકાલે તા.૧૨/૦૯/૨૦૨૬ના રોજ મોત થયું હતું.
પાંચમા અપમૃત્યુના બનાવમાં નીચી માંડલ શેરોન સીરામીક લેબર ક્વાર્ટરમાં રહેતી પ્રિયાબેન વિનોદભાઈ નાગર ઉવ.૧૮એ ગઈકાલે તા.૧૨/૦૯ના રોજ પોતાની ઓરડીમાં અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતાં મોત થયું હતું. અપમૃત્યુના પાંચેય બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.






