તાળા-નકુચા તોડી માતાજીને ચડાવેલ સોના-ચાંદીના છત્તર, મુકુટ, મૂર્તિ, કડા અને રોકડ સહિતની માલમત્તા તસ્કરો ઉઠાવી ગયા.
મોરબી તાલુકાના રામપર (નવા નાગડાવાસ) ગામે રાઠોડ પરિવારના કુળદેવી સુંદરીભવાની માતાજીના મંદિરમાં તસ્કરોએ રાત્રિના સમયે તાળા-નકુચા તોડી પ્રવેશ કરી સોના-ચાંદીના દાગીના, ચાંદીની મૂર્તિ તથા રોકડ મળી કુલ રૂ.૬,૦૨,૫૦૦/-ની ચોરી કરી હતી. હાલ ટ્રસ્ટ સંચાલિત મંદિરના ઉપપ્રમુખની ફરિયાદને આધારે મોરબી તાલુકા પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.
મોરબી તાલુકાના રામપર (નવા નાગડાવાસ) ખાતે આવેલા શ્રી સુંદરી ભવાની માતાના મંદિરમાં ગત તા.૨૬/૦૮/૨૦૨૬ની રાત્રે આશરે ૮ વાગ્યાથી તા.૨૭/૦૮/૨૦૨૬ની વહેલી સવાર દરમિયાન અજાણ્યા તસ્કરોએ પરિસર અને ગર્ભગૃહના દરવાજાના નકુચા તોડી અંદર પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ માતાજીની મૂર્તિ પર ચડાવેલા ચાંદીના મોટા છત્તર, ચાંદીની મૂર્તિ, મોટા-નાના મુકુટ, ચાંદીના કડા-તોડા, અન્ય છત્તર, સોનાનો તીલાટ, સોનાની નથડી તથા રોકડા રૂ.૨,૫૦૦/- સહિત કુલ રૂ.૬,૦૨,૫૦૦નો મુદ્દામાલ ચોરી કરી લઈ ગયા હતા. હાલ મંદિરના ઉપપ્રમુખ મૌલીકભાઈ કરશનભાઈ રાઠોડ ઉવ.૪૨ રહે. રાજકોટ મૂળ જુના નાગડાવાસ વાળાની ફરિયાદના આધારે પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી અજાણ્યા તસ્કરોની શોધખોળ શરૂ કરી છે.






