મોરબી: ૧૭ સપ્ટેમ્બર વિશ્વકર્મા જયંતીના દિવસને રાષ્ટ્રીય શ્રમિક દિવસ તરીકે ઘોષિત કરવાની માંગ સાથે ભારતીય મજદૂર સંઘ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધીને મોરબી મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
મોરબી ભારતીય મજદૂર સંઘ દ્વારા તા.૧૭ સપ્ટેમ્બરે ઉજવાતી ભગવાન વિશ્વકર્મા દાદાની જન્મજયંતીને રાષ્ટ્રીય શ્રમિક દિવસ તરીકે જાહેર કરવા માંગ કરવામાં આવી છે. આ અંગે ભારતીય મજદૂર સંઘ મોરબી જીલ્લા મહામંત્રી પ્રણવભાઈ નલિનભાઈ ઠાકર દ્વારા મોરબી મામલતદાર મારફતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
આવેદનપત્રમાં જણાવાયું છે કે ભગવાન વિશ્વકર્મા શ્રમિક જગતના આરાધ્યદેવ તરીકે પૂજાય છે. ભારતીય મજદૂર સંઘ દ્વારા દર વર્ષે વિશ્વકર્મા જયંતી નિમિત્તે પૂજન-અર્ચન, શોભાયાત્રા, શ્રમિક વસાહતોમાં સેવાકાર્યો તેમજ કાર્યકર્તાઓ સાથે વિચારગોષ્ઠી જેવા કાર્યક્રમો યોજવામાં આવે છે. લુહારી, સુથારી, કડિયા કામ અને હસ્તકલા સહિતના વિવિધ કારીગર વર્ગો પણ ૧૭ સપ્ટેમ્બરના દિવસે વિશ્વકર્મા દાદાની જન્મજયંતીની ઉજવણી કરતા હોય છે. ત્યારે આ દિવસને દેશના શ્રમિકો અને કારીગરોને સમર્પિત રાષ્ટ્રીય શ્રમિક દિવસ તરીકે જાહેર કરવામાં આવે તેવી માંગ ભારતીય મજદૂર સંઘ દ્વારા કરવામાં આવી છે.






