મોરબી: મહેન્દ્રનગર રામવાડી ખાતે યોજાયેલા સમારોહમાં ૨૪૦ વિદ્યાર્થીઓએ માર્કશીટ રજૂ કરી હતી, જેમાં વિવિધ વિભાગમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવેલા ૯૭ વિદ્યાર્થીઓને શિલ્ડ તથા શૈક્ષણિક કીટ આપી સન્માનિત કરાયા હતા. આ ઉપરાંત ૬ નિવૃત્ત કર્મચારીઓ અને નવનિયુક્ત ક્લાસ-૧ તથા ક્લાસ-૨ અધિકારીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
મોરબી જીલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા તા.૩૦ ઓગસ્ટ ૨૦૨૬ને રવિવારના રોજ મહેન્દ્રનગર રામવાડી ખાતે ૧૭મો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો હતો. કાર્યક્રમ માતૃશ્રી રામબાઈમાની જગ્યાના સંત શ્રી પ્રભુદાસજી મહારાજના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. સમારોહમાં આશરે ૨૪૦ વિદ્યાર્થીઓએ પોતાની માર્કશીટ રજૂ કરી હતી. વિવિધ વિભાગોમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે સફળતા મેળવનાર કુલ ૯૭ વિદ્યાર્થીઓને શિલ્ડ અને શૈક્ષણિક કીટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે આહીર સમાજના ૬ નિવૃત્ત કર્મચારીઓ તેમજ નવનિયુક્ત ક્લાસ-૧ અને ક્લાસ-૨ અધિકારીઓનું પણ સન્માન કરાયું હતું. કાર્યક્રમમાં રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીબેન તથા રામબાઈમાં આશ્રમ મયુરનગરના મહંત વ્રજકિશોરીબેનના આશીર્વાદ પ્રાપ્ત થયા હતા.
આહીર સમાજના અધિકારીઓ જયશ્રીબેન જરું, નિર્મળભાઈ ગોગરા, ઇલાબેન ચૌહાણ અને આશિષભાઈ મિયાત્રા દ્વારા વિદ્યાર્થીઓને કારકિર્દીલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમના સહયોગીદાતા ચાવડા વિક્રમભાઈ ધીરુભાઈ દ્વારા સંપૂર્ણ યોગદાન આપવામાં આવ્યું હતું. સમાજના અગ્રણીઓ, વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મંડળના મંત્રી મહેશભાઈ ડાંગર દ્વારા શાબ્દિક સ્વાગત, ખજાનચી ગૌરાંગભાઈ ગોહેલ દ્વારા મંડળના કાર્યોનો પરિચય તથા કારોબારી સભ્ય શિલ્પાબેન રાઠોડ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. મંચ સંચાલન સહમંત્રી રાજેશભાઈ મંઢ અને રમેશભાઈ છૈયાએ કર્યું હતું. પ્રમુખ દિનેશભાઈ હુંબલે સૌને બિરદાવ્યા હતા. અંતે રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હોવાનું યાદીમાં જણાવવામાં આવ્યું છે.






