સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મળેલી જીત બાદ મોરબીમાં ભાજપ દ્વારા ‘શ્રી કમલમ્’ ખાતે અભિવાદન સમારોહ યોજાયો હતો. જેમાં નવનિર્મિત પ્રતિનિધિઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ ભાવુંય વિજયને લઈ કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
મોરબી જિલ્લામાં ભાજપને મળેલી પ્રચંડ જીતને પગલે જિલ્લા ભાજપ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે ભવ્ય અભિવાદન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા ભાજપ પ્રમુખના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ સમારોહમાં ગજેન્દ્રભાઈ સક્સેના, મોહનભાઈ કુંડારીયા, નિર્મલભાઈ જારીયા, તપનભાઈ દવે અને ચતુરભાઈ મકવાણા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને વિજેતા ઉમેદવારોને વધાવ્યા હતા. આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ કેશરીસિંહ ઝાલા, ચંદુભાઈ સિહોરા, ધારાસભ્યો દુર્લભજીભાઈ દેથરીયા અને પ્રકાશભાઈ વરમોરા તેમજ પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ કાર્યકરોની મહેનતને બિરદાવી હતી. આગેવાનોએ જણાવ્યું હતું કે, જનતાએ મૂકેલા વિશ્વાસને સાર્થક કરવા હવે વિકાસકાર્યોને પ્રાથમિકતા આપવી જરૂરી છે અને છેવાડાના માનવી સુધી પહોંચીને કામ કરવું જોઈએ. કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા અને ‘ભારત માતા કી જય’ના નારા સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.





