આગળ જઈ રહેલી કાર અચાનક રોડ વચ્ચે વળી જતા બાઈક અથડાયું, કાર ચાલક સામે ગુનો નોંધાયો.
વાંકાનેરના હસનપર બ્રિજ નજીક કારના ચાલકે અચાનક વળાંક લેતા પાછળથી આવતું મોટરસાયકલ કાર સાથે અથડાયુ હતું. અકસ્માતમાં બાઈક ચલાવતા સદાકતખાનનું મોત થયું હતું, જ્યારે પાછળ બેઠેલા મુકેશભાઈ જોષીને માથામાં ગંભીર ઇજા થતાં કાર ચાલક સામે ગુનો નોંધાયો છે.
વાંકાનેર તાલુકાના હસનપર બ્રિજ નજીક હાઇવે પર થયેલા અકસ્માતમાં કાર રજી.નં. જીહે-૩૬-એપી-૮૨૨૧ના ચાલકે અચાનક રોડ પર વળાંક લેતા પાછળથી આવી રહેલ મોટરસાયકલ રજી.નં. જીજે-૩૬-એએન-૪૦૬૧ કાર સાથે અથડાયુ હતું. અકસ્માત સમયે મોટરસાયકલ સદાકતખાન ચલાવી રહ્યા હતા અને તેમની પાછળ નેશનલ મિનરલ્સ કંપનીમાં કામ કરતા મુકેશભાઈ જોષી બેઠા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે સદાકતખાનને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને વાંકાનેર સરકારી હોસ્પિટલમાં લાવતા જ્યાં હાજર ડોક્ટરે તેઓને મૃત જાહેર કર્યા હતા, જ્યારે મુકેશભાઈને માથામાં ગંભીર ઇજા થતાં રાજકોટ સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અકસ્માતના આ બનાવ અંગે ઇજાગ્રસ્ત મુકેશભાઈના પુત્ર રવિભાઈ મુકેશભાઈ જોષી ઉવ.૨૧ રહે. જીનપરા આશિયાના રોડ વાંકાનેર વાળાની ફરિયાદના આધારે કાર ચાલક સામે ભારતીય ન્યાય સંહિતા તેમજ મોટર વાહન અધિનિયમની કલમ હેઠળ ગુનો નોંધી વાંકાનેર સીટી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.






