મોરબીમાં ત્રાજપર ચોકડી પાસે કોમર્શિયલ વાહનની ટક્કરથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનેલા બાઈક ચાલક વૃદ્ધનું રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. મૃતકના પત્નીની ફરિયાદને આધારે ઉપરોક્ત વાહન ચાલક આરોપી વિરુદ્ધ બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર, મોરબીના ઉમિયા ભુવન બ્લોક નં.૪૨ મહાવીરનગર સોસાયટી મોરબી-૨ વિસ્તારમાં રહેતા લીલાવંતીબેન અમ્રુતલાલ ભીમજીભાઈ આરદેશણા ઉવ.૬૮એ બી ડિવિઝન પોલીસ મથકમાં છોટા હાથી જેવા વાહન રજી.નં. જીજે-૩૬-એક્સ-૦૬૭૬ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, ગઈ તા.૧૬ એપ્રિલે સવારે ફરિયાદીના પતિ અમૃતલાલ કામ પર જવા નીકળ્યા હતા ત્યારે ત્રાજપર ચોકડી પાસે વિશ્વકર્મા એગ્રો ઇન્ડસ્ટ્રી સામે તેમના બાઇક રજી.નં. જીજે-૦૩-બીસી-૧૪૬૧ને છોટાહાથી જેવા કોમર્શિયલ વાહન દ્વારા સાઇડમાંથી ટક્કર મારવામાં આવી હતી. અકસ્માતમાં તેમને માથાના ભાગે ગંભીર ઈજા થતાં બેભાન હાલતમાં પ્રથમ મોરબી અને બાદમાં રાજકોટ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં સારવાર દરમિયાન તા. ૧૭ એપ્રિલે સવારે તેમનું મોત નિપજ્યું હતું. હાલ પોલીસે ઉપરોક્ત કોમર્શિયલ વાહનના ચાલક વિરુદ્ધ બીએનએસ તથા એમવી એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









