જેતપર ગામે વીજલાઈન અને વળતરના મુદ્દે ચાલી રહેલા આમરણાંત ઉપવાસ આંદોલન દરમિયાન છઠ્ઠા દિવસે ઉપવાસી ખેડૂત નેહુલભાઈ અમૃતિયાની તબિયત બગડતા તેમને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે છાવણી સ્થળે તાત્કાલિક આરોગ્ય સુવિધા ન હોવાના મુદ્દે ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો.
મોરબીના જેતપર ગામે ખેડૂતો પોતાના ખેતરમાંથી પસાર થતી વીજલાઈનના યોગ્ય વળતરની માંગ સાથે આમરણાંત ઉપવાસ આંદોલન ચલાવી રહ્યા છે. આંદોલનના છઠ્ઠા દિવસે ઉપવાસ પર બેઠેલા ખેડૂત નેહુલભાઈ અમૃતિયાની અચાનક તબિયત લથડી હતી. મળતી માહિતી મુજબ છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ પર રહેલા નેહુલભાઈ અમૃતિયા બાથરૂમ જવા દરમિયાન ઢળી પડ્યા હતા. તેમની તબિયત બગડતા છાવણીમાં હાજર ખેડૂતો દ્વારા તાત્કાલિક સારવારની વ્યવસ્થા માટે પ્રયાસ કરવામાં આવ્યા હતા.
ખેડૂતોના જણાવ્યા અનુસાર ઘટનાના સમયે છાવણી સ્થળે કોઈ ૧૦૮ એમ્બ્યુલન્સ કે આરોગ્ય વિભાગના ડોક્ટરો હાજર ન હોવાથી રોષની લાગણી ફેલાઈ હતી. બાદમાં ૧૦૮ એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી હતી અને નેહુલભાઈને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. એક તરફ ખેડૂતોના આંદોલન દરમિયાન ઉપવાસીઓની તબિયત પર અસર જોવા મળી રહી છે, તો બીજી તરફ વિસ્તારમાં મહાકાય વીજ પોલ સ્થાપિત કરવાની કામગીરી યથાવત ચાલુ હોવાનું ખેડૂતોનું કહેવું છે. ઘટનાને પગલે આંદોલનકારી ખેડૂતોમાં ચિંતા અને રોષ બંને જોવા મળ્યા હતા.






