રાજકોટ શહેરમાં થયેલી ચાંદી ચોરીના ગુનામાં ક્રાઇમ બ્રાન્ચે બે આરોપીઓને પકડી પાડ્યા છે. આરોપીઓ પાસેથી ચોરીમાં ગયેલા ચાંદીના દાગીના, રોકડ રૂપિયા અને મોબાઇલ ફોન મળી કુલ રૂ. 6.10 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, રાજકોટ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અંદાજે 9.19 કિલો ચાંદીની ચોરીનો ગુનો બન્યો હતો. આ બનાવને પગલે પોલીસ કમિશ્નર સહિત ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. ત્યારે પેટ્રોલિંગ દરમિયાન તેઓને બાતમી મળી હતી કે, પોલીસને બે શંકાસ્પદ વ્યક્તિઓ મળી આવ્યા હતા. જેમની તપાસ કરતાં તેમની પાસેથી મોટી માત્રામાં ચાંદીના દાગીના, રોકડ રૂપિયા અને મોબાઇલ ફોન મળી આવ્યા હતા. પોલીસે બંને આરોપી ભેરૂસિંહ ભવરસિંહ ચૌહાણ અને શંકરસિંહ દેવીસિંહ દુલાવતને ઝડપી પાડીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ પોલીસે ચોરીમાં ગયેલા ચાંદીના વિવિધ દાગીના સહિત કુલ રૂ.6,10,500નો મુદ્દામાલ કબજે કર્યો છે અને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.





