કોરોના મહામારી દરમિયાન માતાની છત્રછાયા ગુમાવનાર મોરબીની દીકરી દિશાબેન સુરાણી માટે ગુજરાત સરકાર સાચા અર્થમાં માવતર સાબિત થઈ છે. ‘મુખ્યમંત્રી બાળ સેવા યોજના’ હેઠળ નિયમિત માસિક સહાય મેળવ્યા બાદ લગ્ન પ્રસંગે દિશાબેનને રૂ. 2 લાખની આર્થિક સહાય મળતા તેમના પરિવારને મોટો આધાર મળ્યો છે. સરકારની આ સંવેદનશીલ પહેલથી અનાથ અને નિરાધાર બાળકોને જીવનમાં આગળ વધવા માટે નવી આશા મળી રહી છે.
અનાથ અને નિરાધાર બાળકોના શિક્ષણ, ઉછેર અને સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. કોરોના મહામારી દરમિયાન માતા-પિતા કે બંનેમાંથી કોઈ એકનો સહારો ગુમાવનારા બાળકોને આર્થિક અને સામાજિક સુરક્ષા પૂરી પાડવા ‘મુખ્યમંત્રી બાળ સેવા યોજના’ શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ લાભાર્થી બાળકોને માસિક સહાય ઉપરાંત દીકરીઓના લગ્ન સમયે વિશેષ નાણાકીય સહયોગ પણ આપવામાં આવે છે. મોરબીની દિશાબેન કિશોરભાઈ સુરાણીએ કોરોનાકાળ દરમિયાન પોતાની માતાને ગુમાવી હતી. પરિવાર માટે તે સમય અત્યંત મુશ્કેલ હતો. આવા સંજોગોમાં સરકાર દ્વારા તેમને ‘મુખ્યમંત્રી બાળ સેવા યોજના’ હેઠળ દર મહિને રૂ. 2,000ની આર્થિક સહાય મળતી રહી, જેના કારણે જીવનની અનેક જરૂરિયાતો પૂરી કરવામાં મદદ મળી હતી. દિશાબેનના લગ્ન નિર્ધારિત થતાં રાજ્ય સરકાર દ્વારા ‘મુખ્યમંત્રી બાળ સેવા યોજના લગ્ન સહાય’ હેઠળ રૂ. 2 લાખની સહાય સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવી હતી. લગ્ન જેવા મહત્વના પ્રસંગે મળેલી આ સહાય પરિવાર માટે આશીર્વાદ સમાન સાબિત થઈ હતી અને લગ્નના ખર્ચને પહોંચી વળવામાં મહત્વપૂર્ણ સહયોગ મળ્યો હતો.
દિશાબેન દ્વારા જણાવવામાં આવ્યું છે કે, કોરોના બાદના કપરા સમયમાં સરકારનો સતત સહયોગ તેમને હિંમત આપતો રહ્યો. માસિક સહાયથી લઈને લગ્ન સહાય સુધી મળેલા આર્થિક પીઠબળના કારણે આજે તેઓ પોતાના નવા જીવનની શરૂઆત આત્મવિશ્વાસ અને ખુશી સાથે કરી શક્યા છે. તેમણે સરકાર પ્રત્યે આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે મુશ્કેલીના સમયમાં મળેલી આ મદદ તેમના પરિવાર માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ છે. રાજ્ય સરકારની આ યોજના એ વાતનો પુરાવો છે કે આપત્તિના સમયમાં અનાથ અને નિરાધાર બનેલા બાળકોને એકલા છોડવામાં આવતા નથી. માસિક સહાયથી લઈને લગ્ન સહાય સુધીની વ્યવસ્થા દ્વારા સરકાર આવા બાળકોના ભવિષ્યને સુરક્ષિત બનાવવા પ્રયાસ કરી રહી છે. મોરબીની દિશાબેનની સફલ્યગાથા એ દર્શાવે છે કે યોગ્ય સમયે મળેલો સહયોગ જીવનમાં નવી દિશા આપી શકે છે. કલ્યાણકારી યોજનાઓના અસરકારક અમલીકરણથી અનેક વંચિત અને નિરાધાર દીકરીઓ આજે આત્મનિર્ભર બની સન્માનપૂર્વક પોતાના જીવનના નવા અધ્યાયની શરૂઆત કરી રહી છે, જે રાજ્યની સંવેદનશીલ અને માનવકેન્દ્રી નીતિઓનું જીવંત ઉદાહરણ છે.






